શુક્રવાર, 14 માર્ચ, 2014

જિંદગી રે જિંદગી (ભાગ ૫ )

પ્રશ્ન તો હું પણ ક્યારેક કરું છું મને કેમ ? ક્યારેય કોઈ જાતના વ્યસન સાથે સંબંધ ના જોડનાર હું કેવી રીતે જીવલેણ રોગ નો ભોગ બન્યો ? મારા હસતા-રમતા પરિવાર પર કેન્સર રૂપી વીજળી કેમ ત્રાટકી ? પણ ત્યાં મારી અંત:ચેતના મને જવાબ આપે છે; કોઈનો યુવાન પુત્ર અકસ્માત માં મૃત્યુ પામે, ધરતીકંપ ના આંચકાથી કાટમાળ માં દબાઈ એકાદ આખો ને આખો પરિવાર સાફ થઇ જાય, પોતાના દેશ માટે સરહદ પર લડનારો સૈનિક દુશ્મન ની ગોળીનો ભોગ બને , પોતાના કુટુંબના ભરણપોષણ માટે ખાણમાં કામ કરનારો ખાણીયો અકસ્માત થતાં ખાણમાં દટાઈ જાય, કે પછી એકાદ ખેતમજૂર ને ઝેરી જનાવર કરડતાં ત્યાં ને ત્યાં તેનું પ્રાણપંખેરું ઉડી જાય; બધા નું શું ? અરે! આમ આંખ બંધ કરીને ઉઘાડીએ એટલી વારમાં જો મૃત્યુ આભડી જતું હોય તો મને તો દસેક મહિના અગાઉથી નોટીસ તો મળી !!!પરમેશ્વરની કૃપાનો આનાથી વધારે વળી બીજો શું પુરાવો જોઈએ ?
શારીરિક અસ્વસ્થતા વધતી જતી હોઈ , નોકરી માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી ; એક હાથમાં બહુ બધાં ફૂલો અને બીજા હાથમાં મસમોટી રકમનો ચેક લઇ , ભારેખમ વાતાવરણ વચ્ચે હું ઓફિસમાંથી " ગુડ બાય " કરું છું ; સમય પસાર કરવા શહેરની ખુબ મોટી અને અદ્યતન લાઈબ્રેરી માં દરરોજ ત્રણ-ચાર કલાક નિ :શુલ્ક સેવા આપવા જાઉં છું ; ટ્રસ્ટી મંડળ ની પરવાનગીથી લાઈબ્રેરિયન શ્રી પરમારને મદદરૂપ થવા થોડો યત્ન કરું છું ; પુસ્તકો, મેગેઝીન્સ, ફર્નીચર વગેરે ગોઠવવા થી લઈને કોમ્પ્યુટર પર નું કંઈ કામ હોય તો તે પણ કરી આપું છું ; આમેય વાંચન મારો પ્રિય શોખ રહ્યો છે ; સિવાય અઠવાડિયે એકાદ દિવસ હોસ્પીટલના કેન્સર વોર્ડની અચૂક મુલાકાત લઉં છું ; ત્યાં જઇ બધા દર્દી સાથે અનુભવોની આપલે કરું છું ; જીવનમાં બનેલા સારા-માઠા  પ્રસંગો ને તેઓની સાથે બેસી વાગોળવા પ્રયત્ન કરું છું ; વોર્ડમાં જાતજાતના દર્દીઓ છે. તેમાં એક વિશિષ્ટ  સ્ત્રી દર્દી છે. નામ છે, ડૉકટર સ્મિતા ખેર. મૂળ મહારાષ્ટ્ર ના પણ કુટુંબ વરસોથી ગુજરાત માં સ્થાયી થયેલું  એમ.બી.બી.એસ. અભ્યાસ સાથે વ્યવસાયે physician એવાં ડોક્ટર ખેરને ફક્ત 37 વર્ષ ની ઉંમરે પગમાં કશુંક  infection  થવાથી કેન્સર થયું છે. સર્જરી કરીને લગભગ એક આખો પગ શરીરથી અલગ કરી દીધો છે. છતાં અત્યારે કેન્સરના કોષો  શરીરના બીજા ભાગમાં પ્રવેશી ગયા છે. છેલ્લું સ્ટેજ  છે. તેમનું આખું કુટુંબ ભાંગી પડ્યું છે. પરંતુ તેઓ અપૂર્વ હિંમત અને ધીરજથી જીવલેણ રોગ સામે લડે છે. મારું મન અનાયાસ તેમની સ્થિરતા ભરી તાકાતને વંદી  રહ્યું છે.
આજે સારું ના લાગવાથી લાઈબ્રેરી માં જઈ  શક્યો નથી. નિધિ કોલેજ ગઈ છે. આસ્થા સ્કુલે છે. રશ્મિ  મારા માટે ગાજરનો રસ લઈને આવે છે. પ્યાલો ટીપોઈ પર મૂકી અચાનક મને વળગી ધ્રુસકે ચડે છે. " જય ! હું તમને ખોવા નથી માગતી, જય ! તમારા વિના બે દીકરીઓનું કામ હું કેમ પાર પાડીશ ? મને પણ તમારી સાથે લઇ જાવ, જય ! મારે હવે જીવીને શું કામ છે ? હવે મારાથી તમારું દુ: , તમારી પીડા જોવાતી નથી.............."
સૂરજનો તડકો અડે અને જેમ બરફ પીગળે તેમ મારું હૈયું પીગળવા લાગે છે. લાગણીઓ નું એક પ્રચંડ તોફાન મારી અંદરથી ઉઠીને બહાર આવવાની કોશિશ કરે છે, પણ ના !! છાતી પર સો મણની  શીલા જેટલું વજન મૂકી હું તોફાનને ત્યાં  ધરબી દઉં  છું. મારી અંદર રહેલું ચૈતન્ય મને કંઈક  કહેતું હોય એવું લાગે છે. મારા આતમ તત્વના અસ્પષ્ટ અવાજને ઓળખવાનો હું યત્ન  કરું છું. જાણે કે તે મને કહે છે કે " અરે ગાંડા !! પીડા તે કંઈ વહેંચવાની  વાત છે ? વહેચવું કંઈ  હોય તો પ્રેમ વહેંચ , ખુશીઓ વહેંચ  ............." અને ત્યારે રશ્મિના  આંસુઓ ના પૂરમાં તણાઈ જતા પહેલાં  હું જાગી જાઉં છું. ખુબ શાંતિ થી સમજાવી તેને સાંત્વના આપવાની કોશિશ કરું છું. અત્યારથી ભાંગી પડતાં  ભગવાન પર વિશ્વાસ રાખી દુઃખી થવા જણાવું છું. જીવન માં દરેકને પોતાનું ઇચ્છેલું બધું થાય એવી આશા હોય છે. પણ તો જરૂરી થોડું છે ? આપણા  મતલબથી અને આપણી  અનુકુળતાએ  ઉપરવાળો  દુનિયા ચલાવે તો જોઈએ શું ?

પૂનમની રાતે ભરતી આવીને જતી રહે, અને તે પછીના દિવસની વહેલી સવારે દરિયો જેમ શાંત થઇ જાય, તેમ  રશ્મિ  પણ ધીરે ધીરે શાંત થઇ જાય છે. વિખુટા પડવાના સંજોગો  પોતાના સ્વર્ગ સમાન ગૃહ ના બારણે આવીને ટકોરા મારી રહ્યા છે, તે કડવી હકીકતનો આભાસ તેના સમગ્ર અસ્તિત્વને ઝીન્ઝોડી નાખે છે. જો કે સત્ય કડવું હોય કે મીઠું , તેને સ્વીકાર્યા  સિવાય બીજી કોઈ  બારી પરમાત્માએ  ખુલ્લી રાખી નથી ને ?

ટિપ્પણીઓ નથી: