સોમવાર, 21 માર્ચ, 2011

જિંદગી રે જિંદગી ( ભાગ-૨ )

ભરચોમાસે વરસતા મુશળધાર વરસાદની જેમ અમારા ત્રણેની આંખો વહી રહી હતી. ધીરે ધીરે એ આંસુઓનો સ્ટોક પણ ખૂટી ગયો. અમે થોડાં સ્વસ્થ થયાં. નિધિ એ ઉઠીને મને તથા રશ્મિને પાણી આપ્યું. એક રોગના નિદાન થવાના કારણે અમારા કુટુંબ જીવનનો આખેઆખો સંદર્ભ બદલાઈ ગયો હતો. એક અજ્ઞાત ભય ત્રણેને વળગી ગયો હતો. વાતાવરણમાં એક ગજબનો પલટો વર્તાતો હતો. ગમગીની ની ચાદર તળે, અમે, જાણે કે ઢંકાઈ ગયાં હતાં. કેન્સરના રોગરુપી અજગરે મને એકલાને જ ભરડો લીધો હતો, પણ તેની મહત્તમ અસર આ બન્નેને પણ થઇ હતી. જો કે રાત્રે મેં આવનારી પરિસ્થિતિઓ નો તાગ કાઢી જ લીધો હતો. એટલે વાતની શરૂઆત પણ મેં જ કરી. " જુઓ, જે સત્ય નિર્ધારિત થઈને આપણી સમક્ષ આવ્યું છે, તેમાં આપણાથી કંઈ જ ફરક કરી શકાવાનો નથી. તો તેને અવગણીને પણ કાંઈ તેમાંથી મુક્તિ મળી જવાની નથી. જે કંઈ પ્રતિકૂળ, પીડાજનક પરિસ્થિતિ સામે આવી છે, તેનો આપણે સ્વીકાર કરવો પડશે, સામનો કરવો પડશે. અને તમે બંને તો મારા હાથ-પગ છો. તમે જો ભાંગી પડશો, તો હું આ રોગ સામે લડી નહીં શકું..............."


આ અને આવી ઘણી બીજી વાતો થઇ. પરિસ્થિતિ નો હસતા મોંએ સ્વીકાર કે આ બધું કાંઈ મારો પલાયનવાદ ન હતો, પણ ધારો કે ભવિષ્ય માં કોઈ દુ:સહ પરિણામ આવવાનું હોય, તો તેને માટે મારે તેમને તૈયાર કરવાં હતાં. મારા મનમાં એક એવા વિચારનો પ્રસવ થયો હતો કે કદાચિત ભાવિ માં જો તેમને પીડા આવવાની જ હશે, તો અત્યારથી જ તે પીડાનું બીજ રોપી તેને ઘેઘુર વૃક્ષ શા માટે થવા દેવું? જેટલો સમય મારે આ રોગ ની સામે લડવા જોઈએ છીએ, તે સમયખંડ માં તેમનો સાથ મારા માટે આત્યંતિક જરૂરી હતો. અને તેના માટે તો તેમનામાં આ માનસિક હિંમતનું પ્રત્યારોપણ કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી મહત્વની વાત કે આવા કપરા સમયે, જો હું શાંતિ કે ધીરજ ના રાખી શકું તો પરિણામ ધાર્યા કરતાં વહેલું અને વિપરીત આવવાની જ તમામ શક્યતાઓ વધારી આપવાની કે બીજું કંઈ? ઘણી સમજાવટ ને અંતે છેવટે અમે એક વાત પર સહમત થયાં કે આજ પછી ક્યારેય રડતલ બનીને મન તથા શરીર ને કષ્ટ આપવું નહીં. ઉપરાંત આના માટે ઉપલબ્ધ જે કોઈ સારામાં સારી ટ્રીટ મેન્ટ મળે તે કરાવી, આ રોગ રૂપી ચક્રવ્યૂહ માંથી બહાર નીકળવાનો બનતો તમામ પ્રયત્ન કરવો.

ડોક્ટર નયન પંચાલ પાસેથી માહિતી મેળવી આ બાબત ના નિષ્ણાત ડો. રાજગુરુ ને મળી પરિસ્થિતિ થી વધારે વાકેફ થવું તેમ નક્કી કર્યું. ફોનથી એપોઇન્ટ મેન્ટ લઇ, નિયત સમયે, આજે , અત્યારે તેમની સામે બેઠાં છીએ. રશ્મિ તથા નિધિ પણ મારી સાથે જ છે. બધા જ રીપોર્ટસ, તથા મારી શારીરિક તપાસ કર્યા બાદ , તેમણે જે સલાહ આપી તે અમુલ્ય છે. આ રોગ તથા તેની ટ્રીટ મેન્ટ ને સમજવામાં તેઓની પાસેથી મને બહુ જ મદદ મળી. તેમની સૌથી પોઝીટીવ વાત જે મને સ્પર્શી છે, તે છે તેમનું દર્દી સાથે નું ઇન્વોલ્વ મેન્ટ. અંદાજે છ ફૂટ જેટલી ઊંચાઈ, મજબુત બાંધો, અને સિલ્વર ફ્રેમ માં જડેલા આઈ ગ્લાસીસ ની પારથી તાકતી બે ધારદાર મોટી મોટી આંખો. નેશનલ લેવલે નેટ વર્ક ધરાવતી કંપની ના આસી સ્ટંટ સી ઈ ઓ તરીકે આટલાં વરસો થી કામ કરતાં કરતાં મારે બહુ બધા વ્યક્તિઓ સાથે સંપર્ક માં આવવાનું બન્યું છે. આ અનુભવ ના આધારે એટલું તો કહી જ શકું કે એકાદ સીનીયર ડોક્ટરની હોવી જોઈએ તે બધી જ characteristics ના ધણી ડો.રાજગુરુ છે. ખુબ જ ધીમે, એકદમ શાંતિથી પરંતુ અત્યંત મક્કમતા થી વાત કરવાની તેમની સ્ટાઈલ માં એક રણકો છે. નક્કર અવાજ ના માલિક આ ડોક્ટર ની જીભેથી બહાર પડતા એકેએક શબ્દ માં થી ટપકે છે, નર્યો જ આત્મ વિશ્વાસ.

પ્રથમ તો મારી કૌટુંબિક જવાબદારીઓ, મારી નાણાંકીય હાલત, નોકરીની સ્થિતિ -આ બધી વાત થી તેઓ માહિતગાર થયા. પછી મને કહ્યું કે -"મિ. મહેતા, વી આર એટ ધ બોર્ડર. કિમોથેરાપી થી ૫૦-૫૦ ટકા ચાન્સ છે. I know, it's a long journey. But, I am optimistic. You still not have reached the non-curable stage of the disease. So, if you want................" અને હું સમજી ગયો.



મેં કહ્યું કે " ડોક્ટર, આ લડાઈ મારે લડવી છે. મારી જીત થશે કે હાર, તેની મને કંઈ પરવા નથી. પણ મફતમાં આ રોગ ને મારે જીત નથી આપી દેવી. સામે ચાલીને આ જીવન તેને ભેટ નથી ધરવું. As I strive, to not let this cancer, overwhelm ME. આ રોગ રૂપી સમસ્યાને હું મારા જીવન પર સવાર નહિ થવા દઉં, ડોક્ટર. હું લડીશ, મારી તમામ તાકાત ખર્ચી ને આ ચક્રવ્યૂહ માંથી હું બહાર આવીશ, ડોક્ટર!!......" આટલું કહેતા માં તો મને, કોણ જાણે કેમ કપાળે પરસેવો વળી ગયો. શરીર એક આછો કંપ અનુભવે છે. શું આ ડર હશે? મન અનાયાસ જ વિચારો ના વમળમાં ઘુમરીઓ ખાય છે.

(વધુ આવતા અંકે.......)



સોમવાર, 14 માર્ચ, 2011

જિંદગી રે જિંદગી ( ભાગ ૧ )

મારું નામ જયદીપ મહેતા. જયદીપ દલપતરામ મહેતા. ઉંમર-૪૩ વર્ષ. અભ્યાસ, એન્જીનીયરીંગ માં માસ્ટર્સ. એક બહુ જ પ્રતિષ્ઠિત કંપની માં ઊંચા પગારની નોકરી છે. દેખાવડી, સુશીલ તથા સંસ્કારી પત્ની છે, નામ છે રશ્મિકા. સંતાનમાં પુત્રની ખોટ પૂરી કરેતેવી બે પુત્રીઓ છે. ઓગણીસ વરસની નિધિ એ હમણાં જ ગ્રેજુએશન કર્યું અને હવે આગળ માસ્ટર્સ કરવાની તૈયારી કરી રહી છે. નાની આસ્થા બાર વરસની છે. ઈંગ્લીશ મીડીયમ સ્કુલના છઠ્ઠા ધોરણમાં છે. નાનું પણ સુંદર અને સુઘડ પોતાનું મકાન કે. એક નાની ફેમીલી કાર પણ વસાવી છે. અમારા પરિવારનું ગાડું કોઈપણ જાતના કોલાહલ વિના, ખુબ જ શાંતિથી, આનંદમંગલ પૂર્વક આગળ ધપી રહ્યું છે. સવારે નાસ્તાના સમયે બધાંએ ફરજીયાત મળવું જ - એવો વણલખ્યો નિયમ બનાવ્યો છે. સાંજના ક્યારેક નિધિ ને તેના મિત્રો સાથે જવાનું થાય છે. મારે પણ ઘણીવાર મીટીંગ કે એવું કંઈ હોય તો મોડું થઇ જાય છે. જેથી સાંજના ડીનર ટેબલ પર સમય સાચવવો અઘરું પડે છે, તેથી જ સ્તો, સવારે બ્રેકફાસ્ટ વખતે "અમે " અચૂક મળીએ છીએ. "અમે" એટલે


અમે ત્રણ. હું, રશ્મિ, અને નિધિ. આસ્થા હજી સમજણી નથી, તેથી તેને આ નિયમમાંથી મુક્તિ મળેલી છે.

ક્યારેક નિધિ ના લગ્નની વાત, ક્યારેક મારી ઓફિસમાં બનેલા અવનવા બનાવો, ક્યારેક વળી કોઈ ગંભીર વાત, ક્યારેક રશ્મિએ બનાવેલ (પણ બગડી ગયેલ? ) અથાણાની વાત, ક્યારેક કોઈ બીમાર સગાની ખબર કાઢવા જવાની વાત, ક્યારેક વળી ન્યાતના કોઈના જમણવાર માં જઈ આવ્યા બાદ ત્યાંના મેન્યુની આઈટમો પર ચર્ચા- આવું બધું ચાલતું હોય છે. ટૂંકમાં ક્યાંય કોઈ બમ્પ નથી. એકાદ સરોવરના શાંત જળરાશિ પર સરકતી નાવની જેમ જ અમારું જીવન ખુબ જ સરળ અને સહજ રીતે સરકી રહ્યું છે. બંને દીકરીઓના ઉછેર ની નાની નાની બાબતો ધ્યાનમાં રાખી, એ બાળપુષ્પો ના જીવનને એક નિશ્ચિત આકાર આપવાનો, અમે સતત પ્રયત્ન કર્યો છે. વીસેક વરસના સહવાસ દરમ્યાન રશ્મિએ પણ મારા જીવનરથ ને ગતિ આપવામાં ભરપૂર સાથ આપ્યો છે. ઇન શોર્ટ, જીવનને અમે ખુબ માણ્યું છે.

આ આનંદ આ હર્ષ, આ ઉલ્લાસ -હજી ગઈકાલ સુધી તો અણનમ હતું,અખંડ હતું. અરે! ગઈકાલે જ આસ્થાની એકાદ વાત પર સવારે અમે કેટલું હસ્યાં હતાં? તેમાં વળી થોડાક સમય પહેલા જ નિધિ એક ડ્રેસ ખરીદી લાવેલી. પણ ફક્ત એક જ વખત ધોયા પછી તે એવો તો ચડી ગયો કે તેના કામનો જ ન રહ્યો! આ ડ્રેસ હાથમાં લઇ, તેને જોતાં જોતાં જ અમે બેવડ વળી ગયેલાં.

પણ હા! આજે? ? ? આજની વાત જરા જુદી છે. અમારા આ "સ્વીટ હોમ " માં આજે ઉદાસીનતા પ્રવેશી ગઈ છે. જાણે કે કમનસીબી ના તોફાને અમારી જીવન નૌકા ને ઘેરો ના ઘાલ્યો હોય? હાસ્યની છોળો ની જગ્યાએ અહીં એક પ્રકારની દહેશત વ્યાપી ગઈ છે. મજબૂત પાયાવાળું મકાન પણ જેમ ભૂકંપનો એક જ આંચકો આવે અને હાલી જાય તેમ અમે બધાં જ આજે હચમચી ગયાં છીએ. વાત જાણે એમ છે કે છેલ્લા ત્રણ- ચાર માસથી ક્યારેક ક્યારેક મને શારીરિક તકલીફ થવા લાગી હતી. જેમ કે તાવ આવે-જાય, ફરીથી આવે. ક્યારેક શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી. શરીર એકદમ લેવાઈ જાય. વળી ક્યારેક વધુ પડતી ઉલટીઓ થઇ જતી. આવાં બધાં કારણોસર, છેવટે બધી જ તપાસ પુરેપુરી કરાવી લેવી, એવો નિર્ણય લીધો. અને છેલ્લાં બે અઠવાડિયાં માં બધા જ રીપોર્ટસ, સી ટી સ્કેન, અને છેવટે બાયોપ્સી પણ થઇ ગઈ. ફાઈનલી ગઈકાલે ડોક્ટરોએ જે નિદાન કર્યું, તે અણધાર્યું જ નહિ, પણ અકલ્પ્ય પણ હતું. ગઈકાલના એ નિદાન ની છાયા, અમારા ઘરના આજના વાતાવરણ પર પથરાઈ ગઈ હતી.ડૉ. પંચાલ ના એ શબ્દો હજીપણ મારા મનો- મસ્તિષ્ક પર હથોડા ની જેમ ઘા કરી રહ્યા છે. " મિ. મહેતા, દુ:ખ સાથે કહેવું પડે છે કે તમને ફેફસાં નું કેન્સર છે." જેટલી ઝડપથી ડોક્ટર એ વાક્ય બોલી ગયા, એટલી જ ઝડપે એક ઊંડો ચીરો મારા તથા મારી બાજુમાં જ બેઠેલી રશ્મિ ના કાળજે પાડતા ગયા. ડોક્ટરની એર કન્ડીશન્ડ ચેમ્બર માં પણ મને ઘડીભર પરસેવો વળી ગયો. મૂક-બધિર જેવી અવસ્થા માં આવી ગયેલાં અમો બંને ઘરે આવી ગયાં હતાં. કોઈ જ કંઈ બોલી શકતું ન હતું.

બીજી સવારે, સૂરજના ઉગવાની સાથે જ, નિત્યક્રમ મુજબ અમે નાસ્તાના ટેબલ પર ભેગાં થયાં. રશ્મિ આખી રાત ઊંઘી શકી નહોતી, તેની મને જાણ હતીજ. મારો ચા નો કપ ટેબલ પર મૂકી, નિધિ માટે દૂધનો ગ્લાસ લઇ આવેલી રશ્મિ થી એક ધ્રુસકું મૂકાઈ ગયું. "બેટા, પપ્પાને................" આ પછીના શબ્દો તેના ગળા માં જ વિલોપાઈ ગયા. પણ ત્યાં તો, નિધિ મને વળગીને છુટ્ટા મોંએ રડવા લાગી. "પપ્પા, કહી દો મને કે આ સાવ ખોટું છે. મારા પપ્પાને કશું નથી થયું....ઓ મમ્મી, કહી દે આ સાચું નથી.......પપ્પા....ઓ......પપ્પા....."

(વધુ આવતા અંકે...)





Message

મિત્રો,


આ અગાઉ ચિંતનાત્મક ટૂંકા લેખો લખીને બ્લોગ પર મુક્યા છે. પરંતુ વાર્તા કે એવા કંઈ પર હાથ અજમાવ્યો નથી. અચાનક જ હમણાં એક પરિચિત ની ખબર કાઢવા જવાનું બન્યું, અને મારા મગજમાં આ વિષય અંગે એક ઝબકારો થયો. જેનું પરિણામ આજે આપ સૌ સમક્ષ મુકતાં મનમાં ચિત્ર વિચિત્ર ભાવો ઉદભવે છે. વાર્તા લખવાનો આ પ્રથમ પ્રયત્ન કેટલો સફળ(કે નિષ્ફળ ) અને સચોટ રહ્યો છે, તે તો આપ વાચકો જ કહી શકો. તો દોસ્તો, આ વાર્તા વાંચીને મને feed back તો આપશો ને ? હા! તમારું એકાદ પણ સૂચન મને ભવિષ્યમાં કંઈપણ લેખન રૂપી વાવણી કરતી વખતે ખાતરની જેમ ઉપયોગી જરૂરથી થઇ પડશે!! છેલ્લે, આ વાર્તાના નાયક "જયદીપ " પર એક શેર;

" જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી;


જિંદગી ને મોતમાં છે માત્ર ધરતી નું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી "