શુક્રવાર, 29 જુલાઈ, 2011

જિંદગી રે જિંદગી (ભાગ - ત્રણ)

ડોક્ટર રાજગુરુ ના મુખ પરના ભાવો વાંચીને મને લાગ્યું કે મારો જવાબ તેમની અપેક્ષા મુજબનો જ હતો. છેવટે નક્કી થયું કે મારે કિમોથેરાપી ની આઠ સાઇકલ લેવી પડશે. પ્રથમ ચાર સાઇકલ, દર ત્રણ અઠવાડીએ એક વખત અને બાકીની ચાર દર માસે એક વખત. આમ કુલ સાતેક મહિનાની treatment તેમણે લખી આપી. તારીખોનું શીડ્યુલ પણ તુરત જ બની ગયું. મારું નિદાન કરનાર ડો.નયન પંચાલ, તેમ જ ઓન્કોલોજીસ્ટ ડો. ભૂવાને પણ આ શીડ્યુલ ની જાણ કરી દેવામાં આવી. જેથી નિયત તારીખ અને સમયે તેઓ હાજર રહી શકે. આજથી બરાબર અગિયાર દિવસ પછી એટલે કે આવતા મહિનાની ૪ થી તારીખે મને, કિમોની પ્રથમ સાઇકલ આપવામાં આવશે. બીજી કેટલીક જરૂરી સૂચનાઓ લઇ અમે છુટા પડ્યા.


'કિમો' શરુ કરવાને હજી દસેક દિવસની વાર હતી, અને શારીરિક તપાસ માટે લીધેલી રજાઓ પણ પૂરી થઇ હતી. જેથી આજે નોકરી પર જવાનું નક્કી હતું. મારી અપેક્ષા કૃત મારા પહોંચતા અગાઉ જ પવનની પાંખોએ ચડીને વાત ત્યાં પહોંચી ગઈ હતી. ઓફિસમાં પ્રવેશતાં જ મને એક નવીન વાતાવરણ નો અનુભવ થાય છે. આમ તો દરેકની આંખોમાં અલગ અલગ ભાવો છે. પરંતુ આ બધા ભાવોમાં સહાનુભુતિ નો ભાવ મિશ્રિત થયેલો હું સ્પષ્ટ વાંચી શકું છું. મને લાગે છે, મારું સમગ્ર અસ્તિત્વ મારાથી વિખૂટું પડી ગયું છે. અલગ થયેલું એ જર્જર, રોગથી અશક્ત, સાવ ખખડધજ હાડપિંજર સમું મારું અસ્તિત્વ મારી બાજુમાં જ ઉભું છે, જેના તરફ પ્રત્યેક ની દ્રષ્ટિ છે. લકવો થયેલા માણસનું એકાદ અંગ રહી જાય, તેમ મારું મગજ ઘડીવાર માટે સુન્ન મારી જાય છે. મને લાગે છે હું અહિંયાં છું જ નહિ. અર્ધ તંદ્રાગ્રસ્ત અવસ્થામાં સારી ગયેલો હું જોઉં છું કે હું એકલો જ ચાલી નીકળ્યો છું. ક્યાંક, કોઈક અણ જાણ સફરે. ઉપર એકદમ સ્વચ્છ અને નિરભ્ર આકાશ છે. સાવ સૂમસામ, તદ્દન નીરવ રસ્તા પર મારી આંખો જડાયેલી છે. મધ્યાહ્ને પહોંચતા પહેલાંની અવસ્થાએ ટકેલો સૂરજ તપું તપું થઇ રહ્યો છે. પવન એકદમ મંદ ગતિએ વહી રહ્યો છે. એકાદ આળસુ અજગર પડ્યો હોય તેવા સામે પડેલા અનંત, અફાટ અને વેરાન રસ્તા પર હું બસ ચાલ્યે જાઉં છું. ચાલ્યે જ જાઉં છું, ચાલ્યે જ જાઉં છું.................

તેવામાં તો પ્રફુલ્લ મને પકડીને લગભગ હચમચાવી નાખે છે. કહે છે " મહેતા-મહેતા, આ શું થઇ ગયું તને ? આ તો મને થવાની જરૂર હતી મારા દોસ્ત! ઉપરવાળાએ કશીક ભૂલ કરી લાગે છે. અરે! હું આ જિંદગીથી કંટાળી ગયો છું, થાકી ગયો છું. યાર! મને કોઈની લાગવી જોઈતી હતી, તે નજર તને ક્યાંથી લાગી ગઈ? " ધીરે ધીરે બધા મને વીંટળાઈ વળે છે. accounts માં કામ કરતી સોનિયા પાણીનો ગ્લાસ લાવીને આપે છે. "શરૂના સ્ટેજમાં ચોક્કસ મટી જાય છે, કિમો થી તો ઘણાને સારું થઇ ગયેલું છે. ડો. રાજગુરુ નો હાથ તો બહુ સારો છે, તમે કશી બાબત ની ચિંતા કરશો નહિ, મહેતા સાહેબ. કામનું adjustment બધા મળીને કરી લઈશું. ઘરનું કઈ કામ હોય તો પણ કહેતા સંકોચ ના કરતા......." આ અને આવા ઘણા બધા સંવાદો ચાલે છે. ત્યાં જ મારા ટેબલ પરનો ફોન રણકી ઉઠે છે. કોલર આઈ ડી પર જોઈ લઉં છું, કંપની ના માલિક શ્રી. એસ.કે. જૈન સાહેબ લાઈન પર છે. ઝટ દઈને હું રીસીવર ઉપાડું છું. " ગુડ મોર્નિંગ સર......" આટલું કહેતામાં તો કોણ જાણે કેમ મને પરસેવો વળી જાય છે. " મિ. મહેતા, સોરી ટુ હિયર ધ બેડ ન્યુઝ, બટ યુ નો, કશી ચિંતા કરવાની જરૂર નથી. કિમોથેરાપી ઈઝ ધ બેસ્ટ option . અહિયાં બોમ્બે આવીને treatment કરાવવી હોય તો પણ હું બધી વ્યવસ્થા કરી દઈશ. સો, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને હા! આ મલેશિયા વાળો પ્રોજેક્ટ પતી જાય પછી વીકમાં ચાર દિવસ જ attendance આપજો. આઈ વિલ મેનેજ. તમને થોડો રેસ્ટ પણ મળી જાય. એન્ડ મોસ્ટ પ્રોબેબ્લી, આવતા વીકે ત્યાં આવું છું ત્યારે મળીએ......" થેંક યુ, સર કહી ને મેં ફોન મુક્યો. છેલ્લા અગિયાર વરસથી આ એક જ જગ્યાએ કામ કરતાં કરતાં, કંપનીના માલિક થી લઇ ઓફીસ ના તમામ સભ્યો સાથે ના સંબંધોમાં મધુરપ લાવવાનો મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો. અને મહદ અંશે હું તેમાં સફળ રહ્યો હતો. તેવું મારા આજના અનુભવમાં પ્રતિબિમ્બિત થતું હતું.

આમ તો જો કે બધા સાથે ફાવટ છે, પણ આ પ્રફુલ્લ સાથે જરા વધારે ઘરોબો થઇ ગયો છે. અને હા! આ પ્રફુલ્લ પટેલ ની પણ એક સ્ટોરી છે. ચરોતરના નાના-શા ગામડાના ખુબ સુખી ઘરનો એકનો એક દીકરો. ભણ્યો પણ સારું. અને લગ્ન થયું ત્યાં સુધી તો બધું બરાબર હતું. કશું અપલક્ષણ પણ નહીં. પરંતુ લગ્ન બાદ તેના જીવનની બધી રેખાઓ બદલાઈ ગઈ. જાણે લગ્ન એ એના જીવનની કરુણાંતિકા બની રહી. કર્મસંજોગે, સ્વભાવ ની ખુબ જ કર્કશા પત્ની મળી. સ્વભાવ તો એવો કે સુતા હોય તો ઉઠાડી ને ઝઘડે. કરવત ની ધાર ને પણ સારી કહેવડાવે એવી આગઝરતી વાણી. આ કારણે પ્રફુલ્લ ધીરે ધીરે મન થી તૂટતો ગયો. ક્યારેક તે મને કહેતો કે તેને એક નહીં પણ એકસામટા હજ્જારો શાપ મળ્યા, જેથી આ કુપાત્ર સાથે તેની જિંદગી જોડાઈ. પછી તો છાતી માં બળબળતી આ પીડા ને તેણે દારૂ ના ગ્લાસ માં ડુબાડવાનો પ્રયત્ન કર્યો. પણ દારુએ વળી ક્યાં કોઈને મુસીબત થી છુટકારો અપાવ્યો છે ? બાકી અંદર થી ખુબ ભલો માણસ. હું વિચારું છું કે બુરાઈ શામાં છે ? શું દારૂ પીવો એ બુરાઈ છે ? કે પછી દારૂ ન પીતાં કોઈના અંતર ને અકારણ લોહીલુહાણ કરવું એ બુરાઈ છે ?

વધુ આવતા અંકે..........



સોમવાર, 21 માર્ચ, 2011

જિંદગી રે જિંદગી ( ભાગ-૨ )

ભરચોમાસે વરસતા મુશળધાર વરસાદની જેમ અમારા ત્રણેની આંખો વહી રહી હતી. ધીરે ધીરે એ આંસુઓનો સ્ટોક પણ ખૂટી ગયો. અમે થોડાં સ્વસ્થ થયાં. નિધિ એ ઉઠીને મને તથા રશ્મિને પાણી આપ્યું. એક રોગના નિદાન થવાના કારણે અમારા કુટુંબ જીવનનો આખેઆખો સંદર્ભ બદલાઈ ગયો હતો. એક અજ્ઞાત ભય ત્રણેને વળગી ગયો હતો. વાતાવરણમાં એક ગજબનો પલટો વર્તાતો હતો. ગમગીની ની ચાદર તળે, અમે, જાણે કે ઢંકાઈ ગયાં હતાં. કેન્સરના રોગરુપી અજગરે મને એકલાને જ ભરડો લીધો હતો, પણ તેની મહત્તમ અસર આ બન્નેને પણ થઇ હતી. જો કે રાત્રે મેં આવનારી પરિસ્થિતિઓ નો તાગ કાઢી જ લીધો હતો. એટલે વાતની શરૂઆત પણ મેં જ કરી. " જુઓ, જે સત્ય નિર્ધારિત થઈને આપણી સમક્ષ આવ્યું છે, તેમાં આપણાથી કંઈ જ ફરક કરી શકાવાનો નથી. તો તેને અવગણીને પણ કાંઈ તેમાંથી મુક્તિ મળી જવાની નથી. જે કંઈ પ્રતિકૂળ, પીડાજનક પરિસ્થિતિ સામે આવી છે, તેનો આપણે સ્વીકાર કરવો પડશે, સામનો કરવો પડશે. અને તમે બંને તો મારા હાથ-પગ છો. તમે જો ભાંગી પડશો, તો હું આ રોગ સામે લડી નહીં શકું..............."


આ અને આવી ઘણી બીજી વાતો થઇ. પરિસ્થિતિ નો હસતા મોંએ સ્વીકાર કે આ બધું કાંઈ મારો પલાયનવાદ ન હતો, પણ ધારો કે ભવિષ્ય માં કોઈ દુ:સહ પરિણામ આવવાનું હોય, તો તેને માટે મારે તેમને તૈયાર કરવાં હતાં. મારા મનમાં એક એવા વિચારનો પ્રસવ થયો હતો કે કદાચિત ભાવિ માં જો તેમને પીડા આવવાની જ હશે, તો અત્યારથી જ તે પીડાનું બીજ રોપી તેને ઘેઘુર વૃક્ષ શા માટે થવા દેવું? જેટલો સમય મારે આ રોગ ની સામે લડવા જોઈએ છીએ, તે સમયખંડ માં તેમનો સાથ મારા માટે આત્યંતિક જરૂરી હતો. અને તેના માટે તો તેમનામાં આ માનસિક હિંમતનું પ્રત્યારોપણ કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી મહત્વની વાત કે આવા કપરા સમયે, જો હું શાંતિ કે ધીરજ ના રાખી શકું તો પરિણામ ધાર્યા કરતાં વહેલું અને વિપરીત આવવાની જ તમામ શક્યતાઓ વધારી આપવાની કે બીજું કંઈ? ઘણી સમજાવટ ને અંતે છેવટે અમે એક વાત પર સહમત થયાં કે આજ પછી ક્યારેય રડતલ બનીને મન તથા શરીર ને કષ્ટ આપવું નહીં. ઉપરાંત આના માટે ઉપલબ્ધ જે કોઈ સારામાં સારી ટ્રીટ મેન્ટ મળે તે કરાવી, આ રોગ રૂપી ચક્રવ્યૂહ માંથી બહાર નીકળવાનો બનતો તમામ પ્રયત્ન કરવો.

ડોક્ટર નયન પંચાલ પાસેથી માહિતી મેળવી આ બાબત ના નિષ્ણાત ડો. રાજગુરુ ને મળી પરિસ્થિતિ થી વધારે વાકેફ થવું તેમ નક્કી કર્યું. ફોનથી એપોઇન્ટ મેન્ટ લઇ, નિયત સમયે, આજે , અત્યારે તેમની સામે બેઠાં છીએ. રશ્મિ તથા નિધિ પણ મારી સાથે જ છે. બધા જ રીપોર્ટસ, તથા મારી શારીરિક તપાસ કર્યા બાદ , તેમણે જે સલાહ આપી તે અમુલ્ય છે. આ રોગ તથા તેની ટ્રીટ મેન્ટ ને સમજવામાં તેઓની પાસેથી મને બહુ જ મદદ મળી. તેમની સૌથી પોઝીટીવ વાત જે મને સ્પર્શી છે, તે છે તેમનું દર્દી સાથે નું ઇન્વોલ્વ મેન્ટ. અંદાજે છ ફૂટ જેટલી ઊંચાઈ, મજબુત બાંધો, અને સિલ્વર ફ્રેમ માં જડેલા આઈ ગ્લાસીસ ની પારથી તાકતી બે ધારદાર મોટી મોટી આંખો. નેશનલ લેવલે નેટ વર્ક ધરાવતી કંપની ના આસી સ્ટંટ સી ઈ ઓ તરીકે આટલાં વરસો થી કામ કરતાં કરતાં મારે બહુ બધા વ્યક્તિઓ સાથે સંપર્ક માં આવવાનું બન્યું છે. આ અનુભવ ના આધારે એટલું તો કહી જ શકું કે એકાદ સીનીયર ડોક્ટરની હોવી જોઈએ તે બધી જ characteristics ના ધણી ડો.રાજગુરુ છે. ખુબ જ ધીમે, એકદમ શાંતિથી પરંતુ અત્યંત મક્કમતા થી વાત કરવાની તેમની સ્ટાઈલ માં એક રણકો છે. નક્કર અવાજ ના માલિક આ ડોક્ટર ની જીભેથી બહાર પડતા એકેએક શબ્દ માં થી ટપકે છે, નર્યો જ આત્મ વિશ્વાસ.

પ્રથમ તો મારી કૌટુંબિક જવાબદારીઓ, મારી નાણાંકીય હાલત, નોકરીની સ્થિતિ -આ બધી વાત થી તેઓ માહિતગાર થયા. પછી મને કહ્યું કે -"મિ. મહેતા, વી આર એટ ધ બોર્ડર. કિમોથેરાપી થી ૫૦-૫૦ ટકા ચાન્સ છે. I know, it's a long journey. But, I am optimistic. You still not have reached the non-curable stage of the disease. So, if you want................" અને હું સમજી ગયો.



મેં કહ્યું કે " ડોક્ટર, આ લડાઈ મારે લડવી છે. મારી જીત થશે કે હાર, તેની મને કંઈ પરવા નથી. પણ મફતમાં આ રોગ ને મારે જીત નથી આપી દેવી. સામે ચાલીને આ જીવન તેને ભેટ નથી ધરવું. As I strive, to not let this cancer, overwhelm ME. આ રોગ રૂપી સમસ્યાને હું મારા જીવન પર સવાર નહિ થવા દઉં, ડોક્ટર. હું લડીશ, મારી તમામ તાકાત ખર્ચી ને આ ચક્રવ્યૂહ માંથી હું બહાર આવીશ, ડોક્ટર!!......" આટલું કહેતા માં તો મને, કોણ જાણે કેમ કપાળે પરસેવો વળી ગયો. શરીર એક આછો કંપ અનુભવે છે. શું આ ડર હશે? મન અનાયાસ જ વિચારો ના વમળમાં ઘુમરીઓ ખાય છે.

(વધુ આવતા અંકે.......)



સોમવાર, 14 માર્ચ, 2011

જિંદગી રે જિંદગી ( ભાગ ૧ )

મારું નામ જયદીપ મહેતા. જયદીપ દલપતરામ મહેતા. ઉંમર-૪૩ વર્ષ. અભ્યાસ, એન્જીનીયરીંગ માં માસ્ટર્સ. એક બહુ જ પ્રતિષ્ઠિત કંપની માં ઊંચા પગારની નોકરી છે. દેખાવડી, સુશીલ તથા સંસ્કારી પત્ની છે, નામ છે રશ્મિકા. સંતાનમાં પુત્રની ખોટ પૂરી કરેતેવી બે પુત્રીઓ છે. ઓગણીસ વરસની નિધિ એ હમણાં જ ગ્રેજુએશન કર્યું અને હવે આગળ માસ્ટર્સ કરવાની તૈયારી કરી રહી છે. નાની આસ્થા બાર વરસની છે. ઈંગ્લીશ મીડીયમ સ્કુલના છઠ્ઠા ધોરણમાં છે. નાનું પણ સુંદર અને સુઘડ પોતાનું મકાન કે. એક નાની ફેમીલી કાર પણ વસાવી છે. અમારા પરિવારનું ગાડું કોઈપણ જાતના કોલાહલ વિના, ખુબ જ શાંતિથી, આનંદમંગલ પૂર્વક આગળ ધપી રહ્યું છે. સવારે નાસ્તાના સમયે બધાંએ ફરજીયાત મળવું જ - એવો વણલખ્યો નિયમ બનાવ્યો છે. સાંજના ક્યારેક નિધિ ને તેના મિત્રો સાથે જવાનું થાય છે. મારે પણ ઘણીવાર મીટીંગ કે એવું કંઈ હોય તો મોડું થઇ જાય છે. જેથી સાંજના ડીનર ટેબલ પર સમય સાચવવો અઘરું પડે છે, તેથી જ સ્તો, સવારે બ્રેકફાસ્ટ વખતે "અમે " અચૂક મળીએ છીએ. "અમે" એટલે


અમે ત્રણ. હું, રશ્મિ, અને નિધિ. આસ્થા હજી સમજણી નથી, તેથી તેને આ નિયમમાંથી મુક્તિ મળેલી છે.

ક્યારેક નિધિ ના લગ્નની વાત, ક્યારેક મારી ઓફિસમાં બનેલા અવનવા બનાવો, ક્યારેક વળી કોઈ ગંભીર વાત, ક્યારેક રશ્મિએ બનાવેલ (પણ બગડી ગયેલ? ) અથાણાની વાત, ક્યારેક કોઈ બીમાર સગાની ખબર કાઢવા જવાની વાત, ક્યારેક વળી ન્યાતના કોઈના જમણવાર માં જઈ આવ્યા બાદ ત્યાંના મેન્યુની આઈટમો પર ચર્ચા- આવું બધું ચાલતું હોય છે. ટૂંકમાં ક્યાંય કોઈ બમ્પ નથી. એકાદ સરોવરના શાંત જળરાશિ પર સરકતી નાવની જેમ જ અમારું જીવન ખુબ જ સરળ અને સહજ રીતે સરકી રહ્યું છે. બંને દીકરીઓના ઉછેર ની નાની નાની બાબતો ધ્યાનમાં રાખી, એ બાળપુષ્પો ના જીવનને એક નિશ્ચિત આકાર આપવાનો, અમે સતત પ્રયત્ન કર્યો છે. વીસેક વરસના સહવાસ દરમ્યાન રશ્મિએ પણ મારા જીવનરથ ને ગતિ આપવામાં ભરપૂર સાથ આપ્યો છે. ઇન શોર્ટ, જીવનને અમે ખુબ માણ્યું છે.

આ આનંદ આ હર્ષ, આ ઉલ્લાસ -હજી ગઈકાલ સુધી તો અણનમ હતું,અખંડ હતું. અરે! ગઈકાલે જ આસ્થાની એકાદ વાત પર સવારે અમે કેટલું હસ્યાં હતાં? તેમાં વળી થોડાક સમય પહેલા જ નિધિ એક ડ્રેસ ખરીદી લાવેલી. પણ ફક્ત એક જ વખત ધોયા પછી તે એવો તો ચડી ગયો કે તેના કામનો જ ન રહ્યો! આ ડ્રેસ હાથમાં લઇ, તેને જોતાં જોતાં જ અમે બેવડ વળી ગયેલાં.

પણ હા! આજે? ? ? આજની વાત જરા જુદી છે. અમારા આ "સ્વીટ હોમ " માં આજે ઉદાસીનતા પ્રવેશી ગઈ છે. જાણે કે કમનસીબી ના તોફાને અમારી જીવન નૌકા ને ઘેરો ના ઘાલ્યો હોય? હાસ્યની છોળો ની જગ્યાએ અહીં એક પ્રકારની દહેશત વ્યાપી ગઈ છે. મજબૂત પાયાવાળું મકાન પણ જેમ ભૂકંપનો એક જ આંચકો આવે અને હાલી જાય તેમ અમે બધાં જ આજે હચમચી ગયાં છીએ. વાત જાણે એમ છે કે છેલ્લા ત્રણ- ચાર માસથી ક્યારેક ક્યારેક મને શારીરિક તકલીફ થવા લાગી હતી. જેમ કે તાવ આવે-જાય, ફરીથી આવે. ક્યારેક શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી. શરીર એકદમ લેવાઈ જાય. વળી ક્યારેક વધુ પડતી ઉલટીઓ થઇ જતી. આવાં બધાં કારણોસર, છેવટે બધી જ તપાસ પુરેપુરી કરાવી લેવી, એવો નિર્ણય લીધો. અને છેલ્લાં બે અઠવાડિયાં માં બધા જ રીપોર્ટસ, સી ટી સ્કેન, અને છેવટે બાયોપ્સી પણ થઇ ગઈ. ફાઈનલી ગઈકાલે ડોક્ટરોએ જે નિદાન કર્યું, તે અણધાર્યું જ નહિ, પણ અકલ્પ્ય પણ હતું. ગઈકાલના એ નિદાન ની છાયા, અમારા ઘરના આજના વાતાવરણ પર પથરાઈ ગઈ હતી.ડૉ. પંચાલ ના એ શબ્દો હજીપણ મારા મનો- મસ્તિષ્ક પર હથોડા ની જેમ ઘા કરી રહ્યા છે. " મિ. મહેતા, દુ:ખ સાથે કહેવું પડે છે કે તમને ફેફસાં નું કેન્સર છે." જેટલી ઝડપથી ડોક્ટર એ વાક્ય બોલી ગયા, એટલી જ ઝડપે એક ઊંડો ચીરો મારા તથા મારી બાજુમાં જ બેઠેલી રશ્મિ ના કાળજે પાડતા ગયા. ડોક્ટરની એર કન્ડીશન્ડ ચેમ્બર માં પણ મને ઘડીભર પરસેવો વળી ગયો. મૂક-બધિર જેવી અવસ્થા માં આવી ગયેલાં અમો બંને ઘરે આવી ગયાં હતાં. કોઈ જ કંઈ બોલી શકતું ન હતું.

બીજી સવારે, સૂરજના ઉગવાની સાથે જ, નિત્યક્રમ મુજબ અમે નાસ્તાના ટેબલ પર ભેગાં થયાં. રશ્મિ આખી રાત ઊંઘી શકી નહોતી, તેની મને જાણ હતીજ. મારો ચા નો કપ ટેબલ પર મૂકી, નિધિ માટે દૂધનો ગ્લાસ લઇ આવેલી રશ્મિ થી એક ધ્રુસકું મૂકાઈ ગયું. "બેટા, પપ્પાને................" આ પછીના શબ્દો તેના ગળા માં જ વિલોપાઈ ગયા. પણ ત્યાં તો, નિધિ મને વળગીને છુટ્ટા મોંએ રડવા લાગી. "પપ્પા, કહી દો મને કે આ સાવ ખોટું છે. મારા પપ્પાને કશું નથી થયું....ઓ મમ્મી, કહી દે આ સાચું નથી.......પપ્પા....ઓ......પપ્પા....."

(વધુ આવતા અંકે...)





Message

મિત્રો,


આ અગાઉ ચિંતનાત્મક ટૂંકા લેખો લખીને બ્લોગ પર મુક્યા છે. પરંતુ વાર્તા કે એવા કંઈ પર હાથ અજમાવ્યો નથી. અચાનક જ હમણાં એક પરિચિત ની ખબર કાઢવા જવાનું બન્યું, અને મારા મગજમાં આ વિષય અંગે એક ઝબકારો થયો. જેનું પરિણામ આજે આપ સૌ સમક્ષ મુકતાં મનમાં ચિત્ર વિચિત્ર ભાવો ઉદભવે છે. વાર્તા લખવાનો આ પ્રથમ પ્રયત્ન કેટલો સફળ(કે નિષ્ફળ ) અને સચોટ રહ્યો છે, તે તો આપ વાચકો જ કહી શકો. તો દોસ્તો, આ વાર્તા વાંચીને મને feed back તો આપશો ને ? હા! તમારું એકાદ પણ સૂચન મને ભવિષ્યમાં કંઈપણ લેખન રૂપી વાવણી કરતી વખતે ખાતરની જેમ ઉપયોગી જરૂરથી થઇ પડશે!! છેલ્લે, આ વાર્તાના નાયક "જયદીપ " પર એક શેર;

" જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી;


જિંદગી ને મોતમાં છે માત્ર ધરતી નું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી "




મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2011

પ્રાર્થના.....

તમે પેલી સરકતી જતી રેતી વાળી સમયની શીશી જોઈ છે? આ શીશીના ઉપરના ભાગમાંથી રેત સરકતાં સરકતાં નીચેના ભાગમાં ભરાય છે.અહીં ખાસિયત એ છે કે તે રેતી સરક્યા જ કરે છે.તે રોકાતી નથી. આ જિંદગી પણ એ સરકતી રેતી જેવી છે. તે ક્યારેય અટકતી નથી. અન સતત ચાલી જતી આ જીંદગીમાં બીજું પણ એક ચક્ર સાથે સાથે જ ચાલ્યા કરે છે. તે છે સુખ-દુઃખ, હર્ષ-શોક, જય-પરાજય, લાભ-હાનિ, જન્મ-મૃત્યુ. અને હા! આ ચક્ર તોચાલ્યા જ કરશે, જ્યાં સુધી આ જિંદગી હશે.એ તો પ્રકૃતિનો વણલખ્યો નિયમ છે. અરે, એ તો એકાદ જન્મનું પણ નથી. જન્મોજનમથી ચાલતું આવેલું છે.


પણ માનવીય સ્વભાવ છે કે જયારે જીવનમાં દુઃખ આવે, શોક ઉત્પન્ન થાય, પરાજય મળે, કોઈ પ્રકારનું નુકશાન થાય, અથવા તો એકાદ નિકટના સ્વજનનું નિધન થાય ત્યારે જ તે પ્રાર્થના કરવા તરફ વળે. વિપરીત પરિસ્થિતિઓમાં જ માણસને જગન્નીયન્તાને યાદ કરવાનું સૂઝે. પ્રાચીન કહેવત છે ને કે "સુખમાં સાંભરે સોની, દુઃખમાં સાંભરે રામ". અર્થાત આ જીવને જયારે અજંપો થાય છે, અથવા તો તેને અજંપો થાય તેવા સંજોગો સામે આવી પડે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવા માનવી પ્રાર્થનાનો રસ્તો પકડે છે. ટૂંકમાં તકલીફો માણસને પ્રાર્થના કરવા તરફ ધકેલે છે. અહી આપણને પ્રશ્ન એ થાય કે શું પ્રાર્થના ફળ મેળવવા માટે જ છે? અગર તો ફળપ્રાપ્તિ એ જ શું પ્રાર્થનાનો એકમાત્ર ઉદ્દેશ છે?

ના! ખરેખર તો આવું નથી. જો કે ફળની અપેક્ષા સહીત કરેલી પ્રાર્થના પણ સાચી પ્રાર્થના જ છે, પરંતુ અહી જો થોડી સમજણ કેળવીએ કે ફળને બાજુએ મુકીને, કંઈપણ મેળવવાની આશા સિવાય કરેલી પ્રાર્થના એ પ્રાર્થનાનું એક ઉપરનું પગથીયું છે. ટૂંકમાં પ્રાર્થના એ અંતરની અભિવ્યક્તિ છે. નિઃસ્વાર્થ ભાવથી પ્રભુ આગળ કરેલી અરજ એનું નામ પ્રાર્થના. કશી ગરજને કારણે નહીં પણ હૃદયની સાહજીકતાથી ભગવાન પાસે કરેલી ભાવાંજલિ એનુંનામ પ્રાર્થના. પ્રાર્થનામાં સહજતા એ આત્યંતિક જરૂરી બાબત છે.અહી દંભને કો સ્થાન નથી. જ્યાં દંભ કે દેખાડો છે, ત્યાં પ્રાર્થનાનું જે અસ્સલ સ્વરૂપ છે, તે ક્યારેય ઉદભવિત થતું નથી. બીજી બાબત કે સહજતાની સાથે સાથે પ્રાર્થના કરતી વખતે હૃદયને ઋજુ અને કૃતજ્ઞ બનાવવું પડે. જીવનમાં સતત એવી સભાનતા કેળવવાની કે જે કંઈ મળ્યું છે, અત્યારે હું જે કંઈ છું, તે ઈશ્વરીય કૃપા છે. વર્તમાન જીવનમાં મેળવેલી કોઈ પણ પ્રકારની સિદ્ધિ ની પાછળ પરમ કૃપાળુ પરમેશ્વરનો હાથ છે, તે જીવનમાં હંમેશા યાદ રાખવાની ટેવ પડવી જોઈએ. કૃતજ્ઞતા ને પગલે હૃદય એકવાર નિર્મળ બને, પછી તેમાંથી ઉદભવિત થતા ભાવો અનાયાસ જ પ્રાર્થનામય ઝરણું બની વહેવા લાગે છે.

અંગ્રેજીમાં કહેવત છે કે "prayer needs no speech ". શબ્દો એ તો માધ્યમ છે.શબ્દો તો આપણા હદય ના ભાવને પરમશક્તિ સુધી લઇ જવાનું એક સાધન માત્ર છે. બાકી સાચું પરિબળ તો છે હૃદયનો નિર્મળ ભાવ. આપણે પ્રાર્થના કરતી વખતે પ્રસાદ, ફળ, ફૂલો, આ બધું ભગવાનને ધરાવીએ છીએ, પણ આ બધાનો નિર્માતા તો સ્વયમ જગન્નાથ પોતે જ છે. તેથી આ

બધી જ પૂજાની સામગ્રી સાથે આપણા હૃદયનો ભાવ કેટલા ટકા મિશ્રણ થયેલો છે તેનું પરિક્ષણ કરવામાં આવે છે. અને હા! ફળની વહેંચણી કે વર્ગીકરણ પણ ઉપરવાળો આ ટકાવારીના આધારે જ કરે છે.

તેથી તો કહે છે કે જેમ અન્ન એ શરીરનો ખોરાક છે તેમ પ્રાર્થના એ મનનો ખોરાક છે.આત્માનો ખોરાક છે.પૂ. ગાંધીજી કહેતા કે " હું ખાધા વિના રહી શકું, પણ પ્રાર્થના વગર નહીં." પ્રાર્થનાને આત્માનો ખોરાક એટલા માટે કહ્યો છે કે અન્નથી જેમ આ હાડ-માંસનું શરીર પુષ્ટ બને છે તેની વૃદ્ધિ થાય છે તેવી જ રીતે પ્રાર્થનાથી આપણું મન, બુદ્ધિ અને અંત:કરણ પુષ્ટ બને છે. મજબુત બને છે.પ્રાર્થના કરીએ ત્યારે આપણે અંદરથી સમૃદ્ધ થતા હોઈએ છીએ. પ્રત્યેક માનવીમાં શક્તિનો એક સ્ત્રોત વહેતો હોય છે. પણ ઘણીવાર એનું દર્શન નથી થઇ શકતું, તેની પિછાણ નથી થઇ શકતી. પ્રાર્થના થી આ શક્તિઓને ઓળખવાનું, તેને જાગૃત કરી, જીવનમાં તેનું application કરવાનું પગથીયું નિર્માણ થાય છે. મતલબ કે પ્રાર્થનાથી આપણને સામર્થ્ય મળે છે.

સુખ-દુ:ખ, હાર-જીત, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ, આ બધાં તો માનવ જીવનથી અલગ ના કરી શકાય તેવાં દ્વંદ્વો છે. જીવનમાં સારું-નરસું કે તડકો-છાંયો જે કંઈ આવે તે તો આપણાં પોતાનાં જ અગાઉ કરેલાં કર્મોનું પ્રતિબિંબ હોય છે, તેની ફલશ્રુતિ હોય છે. તેનાથી પલાયન થવાનો કોઈ ઉપાય જ નથી. પરંતુ સામે આવીને ઉભી રહેલી ઉભય પરિસ્થિતિઓ માં સમતોલપણું જાળવવા કે સમતા યા સમભાવ કેળવવા માટે જે આંતરિક બળ જોઈએ તે પ્રાર્થના થી મળે છે. પ્રાર્થના રૂપી ત્રાજવું બંને પરિસ્થિતિઓમાં આપણને બેલેન્સ રાખે છે. જીવનમાં થતો પ્રત્યેક અનુભવ આપણને ઘડવા માટે આવે છે. અનુભવો આપણને વિકસવામાં બહુ જ મદદરૂપ થાય છે. જીવનમાં થતા સારા અનુભવો તો વખતે બહુ વાંધો નથી આવતો, પણ જયારે કટુ અનુભવો થાય ત્યારે જાતને સંભાળવા માટે પ્રાર્થના છે.

શરીના લોહીનો કચરો જેમ ડાયાલીસીસ કરાવવાથી સાફ થાય તેમ મન અને અંત:કરણનો કચરો પ્રાર્થના રૂપી ડાયાલીસીસ થી સાફ થાય છે. પ્રાર્થનાનું બીજું એક બહુ અગત્યનું પરિબળ છે વિશ્વાસ. પ્રાર્થનાનું ફળ મળવાનું જ છે તેવો અતુટ વિશ્વાસ મનમાં ઉત્પન્ન થવો જોઈએ. જયાં સુધી પાકો ભરોસો ના બેસે ત્યાં સુધી આ મર્કટ મન તેમાં લાગતું નથી. કારણકે આપણો સ્વભાવ જ એવો પડી ગયો છે કે incentive વગર ક્યાંય આ મન રૂપી ભ્રમર બેસે જ નહિ. અહીં સત્ય એ છે કે ફળ તો મળે જ છે પણ ક્યારેક તેના સમયની નિશ્ચિતતા નથી હોતી. ક્યારેક તુરંત તો ક્યારેક કેટલાંક વર્ષો સુધી કે પછી કેટલાક કિસ્સામાં તો વળી કેટલાય જન્મો સુધી ફળની રાહ જોવી પડતી હોય છે. વર્તમાન અણુ યુગમાં આપણે આપણી જાતને બુદ્ધિમાન તરીકે ખપાવીએ છીએ, અને તેથી જ તો પ્રત્યેક વાત કે વસ્તુને તર્કના ત્રાજવે તોળ્યા વિના રહી નથી શકતા. પરંતુ પ્રાર્થના એ તો શ્રદ્ધા અને અનુભૂતિનો વિષય છે. શુષ્ક તર્કોને અહીં કોઈ સ્થાન નથી. આ તો જીવનમાં કરવા લાયક એક અમુલખ અનુભવ છે. આપણા અંતરના કોઈ એકાદ ખૂણામાં એ ચૈતન્ય રૂપ તત્વ અજ્ઞાતરૂપે બેઠું જ હોય છે. બસ! તેની સાથે merge થવાની જરૂર છે. એ તત્વ સાથે તાદાત્મ્ય સાધવા માટે તો પ્રાર્થના છે. તેના માટે તો આ મન અને ચિત્તને અંદર વાળવું પડે. એકવાર શરૂઆત કરીએ પછી ધીરેધીરે આ હૃદય એની મેળે જ પ્રાર્થના મય બને.

ઉપનિષદ માં ભગવાનને યમ કહ્યા છે. યમ એટલે નિયમન કરનાર. નિયામક. પ્રાર્થના કરીએ ત્યારે એ નિયામક ને આપણે અરજ કરે છીએ, કે મારો પગ આડો અવળો પડે તો પ્રભુ! તમે મને સાચવી લેજો. અને તે સાચવી લે છે, ઉગારી લે છે. એટલે કે અસત તરફથી સતના માર્ગે ચાલવાનું પ્રેરક બળ આપવાનું કામ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતાં કરતાં ધીર ધીરે ભાવના દ્રઢ બને પછી મન માંથી પ્રભુ પ્રત્યે નો ડર નીકળી જાય છે. અને તે ઈશ તત્વ પર પ્રેમ નીપજે છે. પ્રાર્થનાથી આપણી માનસિકતા નું પ્રભુ પ્રત્યેના ડર થી પ્રભુ પ્રત્યેના પ્રેમ માં પરિવર્તન થાય છે. આનો આપણા જીવન પર બહુ મોટો impact પડે છે.

પ્રાર્થનામાં સંજીવની શક્તિ છે. સંજીવની એટલે મૃતકને જીવિત કરવાની ક્ષમતા ધરાવનાર ઔષધ.મારો કહેવાનો આશય એ છે કે, પ્રાર્થનાથી કંઈ મડદાં બેઠાં નથી થતાં. પણ, હા! ગંભીર સંકટોમાં આવી પડેલો, વિકટ અને દુ:સહ પરિસ્થિતિઓના જાળા માં અટવાઈ ગયેલો માનવી માનસિક રીતે જયારે હતાશ અને મૃતપ્રાય બને તેવા સમયે, પ્રાર્થનાના બળે તે નિરાશારુપી અંધકૂપ માંથી બહાર આવી એક નવું જીવન પામી શકે છે. તમને ખબર છે તેમ, આપણને દરેકને પસંદ-નાપસંદ હોય છે. ઠીક તેવી જ રીતે પ્રભુને પણ પસંદ-નાપસંદ હોયછે. તેને અંગ્રેજીમાં likes and dislikes કહે છે. હવે આપણે ભગવાનને likable છીએ કે dislikable તે આપણા જીવનની ઢબ ઉપરથી નક્કી થાય. અને જગતના નાથને ગમતા એટલે કે likable થવું હોય તો દૈવી ઢબે જીવન જીવવું પડે, જેની ગુરુચાવી પ્રાર્થનાથી મળે છે.

એટલે પ્રાર્થના આપણા જીવનને પ્રવૃત્તિમય બનાવે છે એટલું જ નહીં તે આપણને અન્તમાંથી અનંત તરફ, અજ્ઞાન માંથી જ્ઞાન તરફ, ક્ષણિક્તા માંથી શાશ્વતતા તરફ, અને મૃત્યુ માંથી અમૃતમય જીવન તરફ જવાનો રાહ દેખાડનાર દીવાદાંડી છે. તો આપણે પણ આ દીવાદાંડીનો સહારો લઇ આપણને મળેલા આ મુલ્યવાન જીવનને એક દૈવી ટચ આપવાની કોશિશ કરીએ અને તેમ કરવા કૃપાનિધાન પરમેશ્વર આપણ સૌને સર્વ પ્રકારે બુદ્ધિ, શકિત, સમજણ આપે, એજ અભ્યર્થના...........