રવિવાર, 26 સપ્ટેમ્બર, 2010

મનના મેળામાં (ભાગ બીજો)

કુદરતે આ માનવમન માં બહુવિધ રંગો ભર્યા છે.અહીં પ્રેમ છે તેમ ઘૃણા પણ છે.હર્ષ છે તો શોક પણ છે. કરુણા છે તેમ તિરસ્કાર પણ છે.આનંદ છે તેમ વ્યથા પણ છે, વાત્સલ્ય છે અને વાસના પણ છે. એક તરફ અપ્રતિમ ભાવોનું સંગીત છે તો બીજી તરફ તુચ્છકાર નો કોલાહલ પણ મનમાં જ છે.મેઘધનુષ ના રંગોની જેમ આપણું મન વિવિધ રંગોની બનાવેલી એક રંગોળી છે. આ રંગો, આ ભાવ પર મનની પક્કડ છે. તે બધા પર મનનો અદમ્ય કાબુ છે. અહીં પણ મનનું એક વૈશિષ્ટ્ય(speciality )છે. મન ક્યારેય આ બધા ભાવોનું મિશ્રણ કરી નાખી તેમાં ગોટાળો નથી થવા દેતું. પોતાના વ્હાલસોયા જુવાન દીકરાના મસ્તક પર એક મા હાથ ફેરવતી હોય, તેની પીઠ પંપાળતી હોય કે પછી તેને છાતી સરસો ચાંપતી હોય ત્યારે તેના મનમાં એક ભાવ હોય છે. અને આજ સ્ત્રી જયારે પોતાના પતિના શરીરને સ્પર્શ આપે છે ત્યારે તેનો માનસિક ભાવ જુદો જ હોય છે. કહેવાનું તાત્પર્ય કે આ બંને વખતના મનના ભાવ જુદાજુદા હોય છે, તે મિક્સ નથી થઇ જતા. દીકરી એ દીકરી છે, તેના પ્રત્યેનો બાપનો ભાવ, પ્રેમ -આનું સ્થાન જગતની કોઈ વસ્તુ ના લઇ શકે. પણ આના લીધે તે વ્યક્તિનો પોતાની પત્ની પ્રત્યેનો જે પ્રેમ છે તેમાં કંઈ બાધા નથી આવતી. કારણકે બંને અલગ અલગ ભાવો પર મનની પક્કડ છે. બંને વખતની સ્થિતિ પર મનનો કાબુ હોઈ, આ રંગોનું cocktail નથી થઇ જતું. વ્યાવહારિક માનવીય જીવનમાં મનની કેટલી અગત્યતા છે તેનું આનાથી વધુ શ્રેષ્ઠ ઉદાહરણ કયું હોઈ શકે ?


આ જગતમાં સંબંધોની કડીઓથી આપણે બધા જ જોડાયેલા છીએ. આ માનવ સંબંધોની માવજત કરવા માટે પણ મન એક મહત્વની કડી છે. ક્યારેક કોઈ અણગમતા વ્યક્તિની આગતાસ્વાગતા કરવી પડે તો તેમાં લુખ્ખાશ જણાઈ આવે છે, કેમ કે તેમાં આપણું મન નથી હોતું. જયારે મનથી કરેલા સ્વાગતમાં એક પ્રકારનું માધુર્ય છલકાય છે. આ ફરક આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. દુર્યોધન નું રોયલ ડીનર છોડી કૃષ્ણ વિદુરના ઘરની ભાજી ખાવા કેમ ગયેલા ? કેમકે બંને ને એક બીજા પ્રત્યે મન નહોતું. ટૂંકમાં મન ના હોય તો એક બીજા સાથે આખું આયખું વિતાવવા છતાં કે પછી જીવનભર એક પથારી પર સાથે સુવા છતાં બે માનવજીવનો વચ્ચે હજ્જારો માઇલોનું અંતર હોય છે, એ સ્થૂળ સ્પર્શ નું કોઈ મુલ્ય નથી હોતું. જયારે મનથી જેણે એકબીજાને પોતાનાં માન્યાં હોય તેઓ કદાચ જોજનો દુર હોય તો પણ સતત એકબીજાને પોતાની પાસે અનુભવે છે. એકબીજાનો સુક્ષ્મ સ્પર્શ પામી શકે છે. ત્યાં બંને વચ્ચે એક તણખલાથી પણ વધારે અંતર નથી હોતું. મનોજગત નું આ એક પ્રતિબિંબ છે.

આ મનનું એક વિજ્ઞાન છે. શૈક્ષણિક ભાષા માં તેને મનોવિજ્ઞાન કહે છે. જીવન માં સુખ- દુખ, હર્ષ-શોક, લાભ-હાનિ, જય- પરાજય , આ બધું આવતું જ રહેવાનું. એ નિયતિના ક્રમનો એક ભાગ છે. પણ આ બધા ભાવોની છાપ (imprint ) પહેલાં મન ઉઠાવે છે. સારામાં સારું જમણ જમવા બેઠા હોઈએ અને અતિશય દુખના કોઈ સમાચાર આવે તો તે વિશિષ્ટ ભોજન પણ કડવું ઝેર લાગે છે. પેલા અશુભ સમાચાર ની imprint તરત જ મન ઉઠાવે છે. પછી મનમાંથી ઓર્ડર છુટે છે જે હ્રદયને ભાવાર્દ્ર કરે છે. આર્દ્રતા નો આ ભાવ આંખોથી અશ્રુ રૂપે વહે છે. આપણી તબિયત એકસોને દસ ટકા સારી હોય - પણ આવા સમયે પોતાનું એકનું એક વ્હાલસોયું બાળક તાવમાં તરફડતું હોય તો ? તો; આપણી તબિયત બગડ્યા વગર નથી રહેતી. કેમ ? કેમકે આ ઘટનાની સીધી છાપ મન પર પડે છે.

આ માનવશરીર ભગવાને આપેલી અમુલ્ય સંપત્તિ છે, શારીરિક બાહ્ય દેખાવ સુંદર હોય તે ચામડીની સુંદરતા છે. બીજા વ્યક્તિ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ( vision ) પરથી આપણા મનની સુંદરતા કે કુરૂપતા નક્કી થાય. આવા મનને સુંદર બનાવવા માટે સુવિચારો રૂપી પોષણ અતિશય જરૂરી છે. મનને સુંદર બનાવવું હોય તો બીજા પ્રત્યે જોવાની દ્રષ્ટી બદલવી પડે. ક્યારેક કોઈક પારકા જણના દુઃખમાં પાર્ટનર શીપ કરવી પડે. એથી એક ડગલું આગળ વધીને કહું તો- આપણને મળેલા સુખ ને પ્રસાદ ની જેમ વહેંચવું પડે. તો મન સુંદર બને. શરીરનો ઉત્કર્ષ તો કોઈ પણ કરે, ટોનિક લેવાથી પણ તે થાય. પણ મનનો ઉત્કર્ષ કરવો તે અઘરું છે. આ શરીરને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ આપણે મનની સુંદરતા બાબતે ઘણા જ ઉદાસીન છીએ. અથવા તો તે અંગે જોઈએ તેટલા જાગૃત નથી. જયારે હકીકત એ છે કે માનસિક સુંદરતા એ શારીરિક સ્વસ્થતા નું અગત્ય નું પરિબળ છે. બીજું કે સંકુચિતતા પણ મનની કુરૂપતા નો જ એક પ્રકાર છે. સંકીર્ણ મનનો માનવી એકલો જ જીવે છે અને એકલો જ મરે છે.

અંતમાં એક બહુ જ important વાત કે જેમ શારીરિક હિંસા છે તેમ માનસિક હિંસા પણ છે. કેટલાક માણસો શારીરિક રીતે કોઈને હાનિ ના પહોંચાડે, પરંતુ માનસિક રીતે તેઓ બીજાને આખો ને આખો વેતરી નાખતા હોય છે. શરીર પર ઘા પડ્યા હોય તો તેને રુઝાતા વાર નથી લાગતી, પણ મન પર પડેલા ઘાને રૂઝ આવતાં બહુ લાંબો સમય લાગે છે. કેટલાક કિસ્સામાં તો આવા ઘા જીવનભર નથી રુઝાતા. અર્થાત કે માનસિક હિંસા, શારીરિક હાનિ કરતાં ક્યાંય વધુ ખતરનાક છે. અહી કડવું સત્ય એ છે કે માનસિક ઘાનાં ક્યાંય નિશાન નથી હોતાં, થપ્પડ નો તમ તમાટ શમી જતાં વાર નથી લાગતી, પણ મોંએથી નીકળેલા કવેણની ઝન ઝ્નાટી ક્યારેક જીવનભર નથી શમતી. માણસ ઉશ્કેરાટમાં આવીને કોઈને શારીરિક ઈજા કરે પણ માનસિક હિંસા તો ઠંડા કલેજે થતી હિંસા છે. ક્રૂરતાનું આ એક વરવું રૂપ છે. શબ્દોનાં વેધક બાણ તીર કરતાં પણ તિક્ષ્ણ નીવડે છે, જે માનવીને અંદરથી લોહીલુહાણ કરી નાખે છે. એવું કહે છે કે શસ્ત્ર કરતાં શબ્દો વધારે કાતિલ હોય છે. કોઈના મન પર કરેલો પ્રહાર નીતીશાશ્ત્ર ની દ્રષ્ટીએ અક્ષમ્ય અપરાધ છે.

આમ માનવીય જીવનની સમતુલા જાળવવા માટે મન એક બહુ જ અગત્ય નું માધ્યમ છે. પોતે કોઈ એક પદાર્થ રૂપે ન હોવા છતાં, પોતાની અગત્યતા જરાય ઓછી ન થવા દેવાની મનની એક વિશિષ્ટતા છે. આવા મનને ઉકરડો બનાવવું કે પુષ્પોદ્યાન- એ આપણા હાથની વાત છે. મનની આ વિશિષ્ટતા ઓને આપણે જાણીએ, સુવિચારો રૂપી અભિષેક થી તેનો ઉત્કર્ષ કરીએ, તેને સ્થિર, સુંદર, વિશાળ અને ભાવમય બનાવી ને જીવનમાં મધુરપ છલકાવીએ તથા તેમ કરવા પરમેશ્વર આપણ સૌને શક્તિ આપે. અસ્તુ......

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

મનના મેળામાં (ભાગ-૧)



ભગવાને સૃષ્ટિની રચના કરી, તેમાંય મનુષ્યની, આ માનવીય દેહની જે રચના કરી છે તે અદભુત છે.અનન્ય છે.શરીરનો એક એક ભાગ (spareparts ), જેને આપણે અંગો કહીએ છીએ, તે દરેકની કામગીરી, તે દરેકનું નિશ્ચિત સ્થાન, અને તેમાંય આ બધા જ અંગોનો એકબીજા સાથેનો લયબદ્ધ તાલમેળ( co -ordination ) -આ બધી કલ્પના કરીએ, જરીક વિચાર કરીએ ત્યારે આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઇ જાય.અને આવા શરીરને ચલાવવા ભગવાને બે મહત્વનાં અંગો આપ્યાં.આમ તો શરીરના પ્રત્યેક અંગની કિંમત છે,એક આગવું મુલ્ય છે.દરેક ની પોતાની એક અગત્યતા(importance ) છે.પરંતુ આ બે અંગોનું વિશિષ્ટ મુલ્ય છે.તેમાંનું એક અંગ તો છે હ્રદય. હ્રદયના ધબકારા બંધ કે શરીરની ચેતનતા ચાલી જાય.શરીર એક જડ પદાર્થ બની જાય.આ શરીરને જીવંત રાખવા માટે હૃદય યોગ્ય રીતે ધબકતું રહે તે અત્યંત જરૂરી છે.ઠીક તેટલું જ જરૂરી અને મહત્વનું બીજું પણ એક અંગ ભગવાનની અસીમ કૃપા થી આપણને મળ્યું છે.આ અંગ અને તેની ક્રિયાઓ-પ્રક્રિયાઓ અદભુત છે.જે કંઈ દૈનિક કે વ્યવહારિક પ્રવૃત્તિ આ શરીર કરતુ રહેલું છે, તે બધા પર જેનો અદમ્ય કાબુ (control ) છે,ઉપરાંત જન્મ થી લઈને મૃત્યુ સુધીના આ જીવનચક્ર માં ધરીરૂપ અમુલ્ય ફાળો આપનાર એ અંગ કયું ? એ છે માનવીય મન. તો આવો, આ મન ના મેળા માં આજે થોડી લટાર મારીએ.

હૃદય સાકાર છે, તેથી આપણે તેને જોઈ શકીએ છીએ.હાથમાં પકડી શકીએ છીએ.હવે ના સમયમાં તો મેડિકલ સાયંસ તેના પર સર્જરી પણ કરે છે.એટલે વિજ્ઞાનની દ્રષ્ટીએ તે એક ભૌતિક પદાર્થ છે.તેથી તેનો એક નિશ્ચિત આકાર છે.પરંતુ મન ને કોઈ આકાર નથી.તે અદ્રશ્ય છે, નિરાકાર છે.નથી તો આપણે તેને જોઈ શકતા કે નથી તો હાથમાં પકડી શકતા.છતાં પણ આ મનની તાકાત, આ મનની શક્તિ એટલી બધી છે કે તેના સહારે માનવી શૂન્ય માંથી સર્જન કરી શકે છે,ઝીરો માંથી હીરો બની શકે છે.

માનવી કંઈ પણ કાર્ય કે કૃતિ(activity ) કરે-તે "કંઈપણ " શરુ કરતા પહેલાં તેણે મનથી તે નક્કી કરવું પડે છે.કશુંક કરવાનો નિર્ણય લેનાર બુદ્ધિ છે પણ આ બુદ્ધિને નિર્ણય લેવા પ્રેરિત કરનાર મન છે.આમાં મન ની એક આધારભૂત ભૂમિકા છે.તેથી પણ વિશેષ લીધેલા નિર્ણયો પાર પાડવા માટે જે કંઈ કર્મ કરવું પડે તેનું ચાલક બળ પણ મન જ છે.માણસ સારું કામ કરે કે ખરાબ, કેમકે કામ તો રચનાત્મક પણ હોઈ શકે, તેમ વિનાશાત્મક પણ હોઈ શકે.પરંતુ બંને તરફી ડગ માંડતા પહેલાં માણસનું મન તે નક્કી કરે છે. મતલબ કે સ્વર્ગને નરકમાં ફેરવી શકવા માટે જેમ માણસનું મન સક્ષમ છે તેવી જ રીતે તે નરકને સ્વર્ગમાં રૂપાંતરિત કરવા પણ તે એટલું જ ક્ષમતાવાન છે.ઇતિહાસ તરફ દ્રષ્ટી કરીએ તો અત્યાર સુધીના સમયમાં જે કોઈ મહાન વ્યક્તિઓ, પછી તે કોઈ રાજનીતિજ્ઞ હોય,કલાકાર હોય, વિજ્ઞાની હોય,ધર્મગુરુ હોય, રમતવીર હોય કે પછી કોઈ ઉદ્યોગપતિ હોય. આ બધાએ પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું સ્થાન મેળવ્યું છે તેવા તમામના જીવનમાં તેમના મક્કમ મનોબળનો બહુ મોટો ફાળો છે.આપણા જ દેશ ની વાત કરીએ તો, વિશ્વમાં જે મહાસત્તા નો સૂર્ય ક્યાંય અને ક્યારેય આથમતો નહોતો તેવી બ્રિટીશ રાજસત્તા સામે ગાંધીજી જેવો મુઠ્ઠી હાડકાંનો માણસ લડી શક્યો અને ટકી શક્યો તેનું મૂળ કારણ ગાંધીજી નું મજબુત મન હતું.સદીઓથી સૃષ્ટિ ચક્ર ના ક્રમ અનુસાર ચાલતું રહેલું આ માનવીય જીવન- તેમાં મન જ તેની તલવાર અને મન જ તેની ઢાલ છે.

તબીબી શાસ્ત્ર ની દ્રષ્ટીએ જોઈએ તો આ શરીરમાં અનેક જાતનાં રસાયણો છે.અનેકાનેક જાતનાં પદાર્થો, દ્રવ્યો થી આ શરીર ભરેલું છે.નાનપણ માં જોયેલું કે ગામડાગામમાં ફેરિયો આવે, પછી પોતાનું પોટલું ઉતારે.આપણે કુતુહલતાવશ જોતા હોઈએ. પોટલાની ગાંઠ છોડી , તેમાંથી એક પછી એક વસ્તુ કાઢી ફેરિયો બતાવે.એમ જ આ માનવીય શરીર પણ એક જાતનું પોટલું જ છે ને ? તેમાં જાતજાતની વસ્તુઓ ભરેલી છે.અહી વિશિષ્ટ વાત એ છે કે શરીરની આ બધી સામગ્રી નું એકબીજા સાથે tuning છે.આમાં ફેરફાર થાય કે માત્રા વધઘટ થાય કે પછી તેમાં ખરાબી ઉભી થાય.આમ ન થાય તે જોવાનું કામ મન નું છે.શરીરના બધા ભાગો એકબીજા સાથે સહકાર પૂર્ણ અને યોગ્ય રીતે વર્તે- તે માટેના તમામ ઓર્ડરો મન માંથી છુટે છે.પણ ધારો કે શરીરમાં કોઈ વ્યાધિ આવી પછી તેના માટે જરૂરી યોગ્ય દવા લેવી પડે.અહિયાં પણ જુઓ, મન મહત્વનો ભાગ ભજવે છે.દરદ થાય પછી જો માણસ મન થી નિર્બળ થાય તો દર્દને તેની વિષમતા ને આંબવામાં જલ્દી સફળતા મળે છે.આપણે કહીએ છીએ ને કે "મન નો માંદો" . આનાથી વિરુદ્ધ ગમે તેવો રોગી હોય પણ જો તેનું મન મક્કમ હોય તો દવાની નાની સરખી એક ટીકડી પણ તેણે મોતના મુખ માંથી પાછો લાવી નવું જીવન બક્ષી શકે છે.રોગ થયા પછી આપણે દવાઓ લઈએ છીએ તે દવાઓ શરીરનાં રસાયણોમાં ફેરફાર કરે છે પરંતુ દવાની જે અસરકારકતા છે તેના પર મન ના હુકમોનું બહુ મોટું અવલંબન છે.અસાધ્ય અને ગંભીર રોગમાંથી સાજા થયેલા વ્યક્તિને જોઈએ ત્યારે વિચાર આવે કે આને આત્મબળ કોણે પૂરું પડ્યું ? તે પૂરું પાડનાર છે માનવીય મન.બીજી રીતે જોઈએ તો જેમ શરીરની વ્યાધિ છે તેમ મન ની પણ વ્યાધિ છે.પરંતુ શરીરની વ્યાધિ ની તુલનામાં મન ની વ્યાધિ ખુબ ભયંકર છે.મન ની રુગ્ણ તા ક્યારેક તંદુરસ્ત શરીરને પણ રુગ્ણ બનાવી દે છે.અર્થાત કે મન ની વ્યાધિના રોગીને પોતાનો કોળિઓ બનાવતાં કાળને બહુ ઝાઝી વાર નથી લાગતી.

હવે પ્રકાશ અને ધ્વની ની માફક હૃદય ની પણ ગતિ છે. જે નિશ્ચિત છે.ક્યારેક તેમાં થોડો ઘણો ફેરફાર પણ થઇ જાય છે.પરંતુ એકંદરે તે અમુક મર્યાદા માં જ રહે છે.જયારે મન ની ગતિની તો વાત શું કરવી ?વિશ્વમાં ક્યાંય એવું કોઈ યંત્ર કે માપક નથી જે મન ની ગતિને માપી શકે. આ બ્રહ્માંડ માં એવો કોઈજ ભૌતિક પદાર્થ નથી જે મન ની ગતિને આંબી શકે.આ રેસમાં મન કાયમી વિજેતા( champion ) છે.જેનો એકાદ પાયો તૂટેલો છે તેવી ખુરશી માં બેઠેલો વ્યક્તિ પણ ક્ષણાર્ધ માં ચંદ્ર પર જઈ આવે છે. પૃથ્વી ના એક છેડે બેઠેલો માનવી પળવાર માં જ બીજે છેડે આવેલા પોતાના વતનમાં લટાર મારી આવે છે.આ ગતિને શું માપી શકાય ખરી? મતલબ કે મન ની ગતિ અમાપ છે.

જન્મથી મૃત્યુ પર્યંતના સમય ગાળામાં માનવી અનેકાનેક જાતની ઘટનાઓ માંથી પસાર થાય છે.આ યાત્રા દરમ્યાન કેટલાય કડવા, મીઠા પ્રસંગોનો અનુભવ થાય છે.કોમ્પ્યુટર ની ડિસ્ક ની જેમ આ દરેક ઘટમાળ ની સ્મૃતિ આપણું મન રાખે છે.જેની કદાચ કોઈ જ કિંમત ના થઇ શકે એવી અમુલ્ય યાદોનું વિશાળ જગત, અણમોલ સ્મૃતિઓ નું ચિત્રપટ - આપણા મન માં સંઘરાઈને પડેલું હોય છે. ઉંમર ની ગણતરી ના જયારે છેલ્લા આંકડાઓ ગણાય છે ત્યારે એકાંતે બેઠેલો માનવી પોતાના મને સાચવી રાખેલી સ્મૃતિઓના અથાહ સાગરમાં ડૂબકી મારે છે. પછી પરિણામે તે એકલો એકલો હસે છે અને એકલો એકલો જ રડે પણ છે.આ હાસ્ય કે રુદનના ભાવોનું ઉત્પાદન કેન્દ્ર આપણું મન છે...............(ક્રમશ:)

રવિવાર, 16 મે, 2010

પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો....





કોઈ એકાદ ચિત્રકાર જયારે ચિત્ર બનાવતો હોય ત્યારે તેના ઉઠાવ (get up )પરત્વે તેની દ્રષ્ટી હોય છે.યોગ્ય રંગોનું મિશ્રણ , યોગ્ય background આ બધું એપ્લાય કરી તે છબી કે ચિત્રને મહત્તમ ઉઠાવ આપવા પ્રયત્ન કરે છે.મતલબ કે ફોટા માંના રંગો,તેની પૃષ્ટ્ભુમી આ બધા પરથી તે ઉપસી આવે છે.તેને એક getup મળે છે.આપણા જીવનનું પણ ઠીક તેવુંજ છે. ગુણ કે અવગુણ -આ બેમાંથી જેનું એપ્લીકેસન વધારે , તે મુજબ આપણા જીવનનો ગ્રાફ ઉંચો કે નીચો જતો હોય છે.જીવનને ઉઠાવ મળતો હોય છે.પરંતુ અહીં એક વાત છે,કે અવગુણો તો ખેતરમાં ઉગી નીકળતા નકામા ઘાસની જેમ આપમેળે જ વિકસતા હોય છે. કેન્સરના કોષોની માફક જ તેનો ગ્રોથ રેટ બહુ ઉંચો હોય છે.જયારે ગુણોને તો જીવનમાં વિકસાવવા પડે છે.જીવનમાં તેની રોપણી કરવી પડે છે.છોડને જેમ પાણી પાઈને ઉછેરીએ તેમ ગુણોને સીંચવા પડે છે.વાત કરીએ છીએ એટલું એ સહેલું નથી.અઘરું છે.સમયનું વહેણ, અપકીર્તિ,લોક-ડર, સામાજિક અવમાનના -આ અને આવા કંઈક અવરોધો સામે આવે.રાજા હરિશ્ચંદ્ર ની જેમ ક્યારેક જાતને પણ હોડમાં મુકવી પડે.પણ હા !એકવાર સદગુણો જીવનમાં વણાઈ જાય પછી માણસના ખરેખરા વ્યક્તિત્વ નું નિર્માણ થતું હોય છે.અને ગુણ વગરનો જ્ઞાની તો ભગવાનને પણ સ્વીકાર્ય નથી.અર્થાત ગુણોની જીવનમાં બહુ કિંમત છે.

હવે ભૂલ જુદી અને અવગુણ જુદો. ભૂલ તો જીવનમાં ક્યારેક થઇ જાય. પ્રકૃતિ(સ્વભાવ) વશ દરેકથી ભૂલ થઇ શકે. પણ એકવાર ઠોકર ખાધા પછી જે દિશા બદલી નાખે ,અથવા રસ્તો જોઇને ચાલે તે બચી શકે.એટલે કે એકાદવાર જીવનમાં ભૂલ કરનાર વ્યક્તિને કંઈ પતનની ખીણ ના તળિયે જઈને બેસવાનો વારો આવતો નથી.પણ જો એકાદ અવગુણ પાળ્યો હોય તો? તો તો પછી એ જીવનરૂપી નૈયાને ડૂબ્યે જ છુટકો, ભાઈ! અહીં સૌથી મોટી તકલીફ એ છે કે આપણે જ, આપણા અવગુણો નું દર્શન કરતા નથી.દર્શન એટલા માટે નથી કરી શકતા કે આપણો ઈગો વચ્ચે આવે છે.

ઈગો =અહંકાર = અહં = હું = I (કેપિટલ)

આ કેપિટલ આઈ છે તે હંમેશા ઉભો જ વપરાય.તે આડો થતો જ નથી.એક નદી ને એકવાર બહુ અહંકાર આવ્યો.સાગર પાસે જઈ મોટી મોટી બડાઈ મારવા લાગી.સાગરે કહ્યું કે તારી બધી વાત સાચી.પણ પેલા નેતરને મૂળમાંથી ઉપાડી નાખ તો જાણું.નદી તો વહેવા લાગી પૂરજોશમાં. જે કંઈ તાકાત હતી તે બધી વાપરીને, બરાબરના ધસારા સાથે તેણે આક્રમણ કર્યું.પણ પેલું નેતર તો પાણીના ધસારા થી વળી ગયું. અને પાણી ઓસરતાં જ તે તો પાછુ ટટ્ટાર થઇ ઉભું.નદીએ તો ફરીથી પ્રયત્ન આદર્યો. આમ બે-ચાર વખત કર્યું પણ નેતરને ઉખાડી શકાયું નહીં.છેવટે થાકીને તે સાગર પાસે ગઈ. ત્યારે સાગરે કહ્યું કે કેમ? ગર્વ ઉતરી ગયો ને? નેતરને વળતાં આવડે છે, નમતાં આવડે છે તેથી તું તેને ઉપાડી નહિ શકે.ભાવાર્થ એટલોજ કે આપણે પણ જો આપણો ઈગો છોડીને આપણા દોષોનું દર્શન કરીએ તો ક્યારેક તો તેમાંથી નીકળવાનો માર્ગ મળેજ. અવગુણો થી મુક્ત થવું સહેલું નથી તેમ એટલું અઘરું પણ નથી.જીવનમાં એટલેજ ભક્તિની જરૂર છે. ભક્તિ એટલે મસ્તક નમાવવું. મસ્તક નમાવવું એટલે શરણાગતિ સ્વીકારવી. આપણે નમીએ છીએ ત્યારે આપણા મનનો અહંકાર નરમ પડે છે.મારા કરતાં કોઈ superior છે તેને હું વંદન કરું છું .નમસ્કાર કરું છું. એકવાર અહંકાર નરમ થાય પછી બુદ્ધિને કામ કરવાની તક મળે છે.મનમાં અહંનો વાયુ ભરેલો હોય તો બુદ્ધિ સાર-અસાર નો વિચાર કરી શકતી નથી.એટલે નમ્ર ભાવથી જે વિચાર કરી શકે છે, તે પોતાના ગુણ-દોષ નું સરવૈયું કાઢી શકે છે.નમ્રતા એ દોષો કાઢવાનું પહેલું પગથીયું છે.

ક્યારેક વળી માણસ પોતાના અવગુણો સાથે સમાધાન કરી લે છે. અવગુણ કે દોષોથી છુટવાનો જાણે કોઈ ઉપાય જ ના હોય તેવું માની બેસે છે.અને વળી આવું માનીને તે પોતાના અવગુણને પોષવા સારું કંઈ કેટલાંય મોટાં મોટાં જોખમો ઉઠાવે છે.જુઓ! ચોરી કરનાર વ્યક્તિ પોતાના જીવને જોખમમાં મુકે જ છે ને? અને વ્યભિચારી કે લંપટ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા , પોતાની આબરૂ ને દાવ પર મુકતાં અચકાય છે ખરો? માણસ જાતનો બીજો એક સ્વભાવ છે કે તે હંમેશા પોતાના કરતાં બીજાના દોષો પ્રત્યે વધુ લક્ષ્ય આપે છે.હકીકતમાં આપણને પારકા વિશે અભિપ્રાય આપવાનો કોઈ જ હક નથી.કોઈ સત્તા નથી. આ બીજાના જીવનનું એક્ષેસ કોણ કરી શકે?જે પૂર્ણ હોય તે. તો આપણે વળી ક્યાં પરિપૂર્ણ કે અણી પૂણી શુદ્ધ યા દોષરહિત છીએ? માટે સૌથી પહેલાં આપણે આપણા ગુણ-દોષ નું મૂલ્યાંકન કરવું પડે.કઠણ છે.

આ સિવાય એક બહુ મોટો અવગુણ છે તે એ કે આપણે ભૂલતા નથી .કોઈએ આપણી સાથે કરેલો દુર્વ્યવહાર આપણે ભૂલી શકતા નથી. અંગ્રેજી માં આના માટે " grudge " એવો શબ્દ છે. મનમાં બદલાની આગ રૂપી ભઠ્ઠી કાયમ સળગતી જ હોય.ફાયદો શું?જાતે જ બળ્યા કરવાનું ને? જો ભૂલી જાવ તો? માફ કરી દો તો ? અને હા! માફ કરતાં આવડે તેમ માફી માગતાંય આવડવું જોઈએ.કોઈને માફ કરી દેવું એ બહુ મોટો ગુણ છે. જીવનને ઉંચે લઇ જવા માટે નું આ એક સ્ટેપ છે. અરે! તેં જે ભૂલો કરી છે, તારામાં જે દોષો છે, અથવા તો તારા વ્યવહારથી બીજાને જે મનદુઃખ થયું છે, જે આઘાત પહોંચ્યો છે, જે નુકશાન થયું છે તે બધું જો ઈશ્વર યાદ રાખે તો ? તો આ ધરા પર તારું અસ્તિત્વ પણ ના હોય મારા ભાઈ! કૃપાનિધાન પરમેશ્વર આપણને ડગલે ને પગલે માફ કરે જ છે ને?તેથી તો આ જીવનને ઉન્નત બનાવવાની દિશામાં પ્રયત્ન આરંભીએ ત્યારે તેને એક ઓપ આપવો પડે. ચાક પર ફરતા માટીના લોન્દાને કુંભાર જેમ સુંદર આકાર આપે તેમ આપણે પણ જીવનમાં ગુણોનું પ્રત્યારોપણ કરી તેને યોગ્ય આકાર આપવાની કોશિશ કરવી જોઈએ. ગાય કે ગધેડું ખેતરમાં પેસી પાક બગાડે નહીં તે માટે ખેડૂત ખેતરને વાડ કરે.આપણે પણ જીવનમાં અવગુણો રૂપી ગધેડાં પેસી ના જાય તે સારુ, સદવિચારો રૂપી, સદવર્તન રૂપી વાડ કરવી પડે. કોમ્પ્યુટર માં વાયરસ ના આવી જાય માટે આપણે એન્ટી-વાયરસ સોફ્ટવેર મુકીએ, સ્પાયવેર મુકીએ છીએ. પણ જીવનમાં કુવિચારો રૂપી કે અવગુણો રૂપી વાયરસ ઘૂસી ના જાય તે માટે સાવચેત આપણે કેટલા?

આ જગત વિકાસના પંથે છે. વિજ્ઞાનની કાખઘોડી બગલમાં રાખી આ માનવજાતિ સમગ્ર બ્રહ્માંડ ને પોતાની મુઠ્ઠી માં કરી લેવા નીકળી છે.પરંતુ સામે માનવીય મૂલ્યોનો હ્રાસ થતો જાય છે.નૈતિકતાને નેવે મુકીને, યેનકેન પ્રકારે સમૃદ્ધિ મેળવવાના પ્રયત્નો કરાય છે.એટલે એક દ્રષ્ટિ એ જોતાં તો સમય વિપરીત આવી રહ્યો છે. આવા કપરા કાળમાં આપણે વિશ્વેશ્વર ને પ્રાર્થના કરીએ કે આપણને અતુલ માનસિક બળ પૂરું પાડે જેથી આપણે જાતને સાચવી શકીએ. જીવનમાં શક્ય જે કંઈ ગુણોની વાવણી કરી હોય તેનું જતન કરી શકીએ. સદગુણો રૂપી સૈનિકોનું લશ્કર બનાવી અવગુણો રૂપી દુશ્મનો સામે લડી શકીએ. અને છતાં પણ જાણે-અજાણે થયેલી ભૂલો કે આવી ગયેલા દોષો માટે એટલું જ કહીએ - પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ના ધરો.............

યુવામિત્રો તથા સામરખા ના તમામ નાગરિકો;


ગયા મહીને મારા બ્લોગ પર " સામરખા" વિશે આર્ટીકલ પોસ્ટ કર્યા બાદ, આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો, તે બધી કોમેન્ટ્સ વાંચ્યા પછી હૈયું ખરેખર ગદગદિત થયું છે. તમો બધાનો પ્રેમ અને પ્રેરણાનું પીયુષ પીને મને પણ હવે આગળ લખવાનો પાનો ચડ્યો છે."સામરખા ભાગ-૨" હજી તૈયાર થઇ શક્યો નથી. કેમકે તેના માટે જરૂરી માહિતી ભેગી કરવાના પ્રયત્નોમાં છું. દરમ્યાન અગાઉ લખેલ એક આર્ટીકલ આજે પોસ્ટ કરતાં અતિ આનંદ ની લાગણી અનુભવું છું.

બે-ત્રણ મિત્રોએ પ્રશ્ન કર્યો કે બ્લોગનું નામ "એક યાયાવર" આપ્યું છે તેનો અર્થ શો? તે અંગે થોડી સ્પષ્ટતા કરવાનું જરૂરી લાગતાં અત્રે વિગતે વાત કરું. ' યાયાવર' એટલે રખડુ. રખડપટ્ટી કરનાર માણસ. મારો બ્લોગ બનાવતો હતો ત્યારે ટાઈટલ શું આપવું તેની દ્વિધામાં હતો. ત્યાં અચાનક જ આ નામ મને સુઝી આવેલું. હા! હું રખડુ છું. સાહિત્યની ગલીઓ માં રખડપટ્ટી કરવી એ મને અતિશય ગમતી વાત છે.બહુ બધાં પુસ્તકો આપી મને એક કોટડી માં પૂરી દે, તો જમવાના સમયે બેલ વગાડી થાળી મંગાવવાનું પણ મને કદાચ યાદ ના આવે.મતલબ એજ કે વાંચન એ મારો પ્રિય શોખ છે. પછી તે કોઈ પુસ્તક હોય કે પછી નેટ પરની કોઈ વેબ. આમ વિચારી 'યાયાવર' નામની માગણી કરી, પણ એ ડોમૈન અગાઉ જ 'બ્લોગર' પર કોઈએ નોંધાવી દીધેલ, જેથી 'એક યાયાવર' નોંધાવ્યું, જે નસીબજોગે મળી ગયું. અને અહીંથી મારી લેખણ પટ્ટી ની યાત્રા શરુ થઇ. આ યાત્રા ક્યારે અને ક્યાં અટકશે એ તો કોને ખબર? પણ હા! તમારો અને મારો સંબંધ કાયમ રહે, અતુટ રહે એવી અંતરની આશ છે. આ સંબંધ એક લેખક અને એક વાચકનો ના બની રહેતાં એક ભાઈ કે એક મિત્રનો બની રહે એજ અભિલાષા. વધારે તો મારા વિષે શું કહું????

"અમસ્તી મારી મેહનત પર ઘડીભર તો નજર કરજો


કહું છું ક્યાં કદી હું કોઈને મારી કદર કરજો"..............(અઝીઝ કાદરી)

બુધવાર, 7 એપ્રિલ, 2010

સગપણ કેવા રે બંધાયાં


…….નહીં સોય નહીં દોરો તોયે

………….કઈ રીતે સંધાયાં……

કોણે વાવ્યાં બીજ હૃદયની ક્યારીમાં માયાનાં

…….કોણે અંતરના અમરતથી જતન કર્યાં કાયાનાં

………….તાણા-વાણા અલગ છતાંયે

………………….વસ્ત્ર બની સંધાયાં…… સગપણ……

માણસ તો ભૈ લોભ-મોહને લાલચનો છે ભારો

…….પણ ભીતરમાં સત્ય-પ્રેમ-કરુણાનો છે સથવારો

………….લાગણીઓને તારે તારે

………………….હૈયાં રે સંધાયાં……. સગપણ……..

ઘર ઘર રમતાં હોય એમ મંડાયો છે સંસાર

…….આમ જુઓ તો લાખે લેખાં, આમ નહીં કંઈ સાર,

………….શ્રદ્ધા અને સબૂરી સાથે પ્રાણ સદા સંધાયાં……. સગપણ……

આંસુના તોરણની ઓથે ઝૂરે છે બે આંખો,

…….હૈયું છે પણ ધબકારની વાટ જુએ છે આંખો,

………….ઉડી ઉડીને પંખી અંતે માળો થઈ સંધાયાં…… સગપણ…..

કોઈ વળાવે, કોઈ વધાવે, કોઈ કરે કકળાટ,

…….કેવા કેવા ખેલ ખેલાતા, કેવા ઘડાતા ઘાટ,

………….જીવતર જેવા જીવતર સાથે સુખને દુ:ખ સંધાયાં-

………………….સગપણ કેવાં રે બંધાયાં….

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2010

પરવરદિગાર દે - મરીઝ | ટહુકો.કોમ

પરવરદિગાર દે - મરીઝ | ટહુકો.કોમ
આજે તમે મજા આવે એવું શું કર્યું? આજે તમે જે કર્યું એમાં તમને મજા આવી? મજા ન આવી તો કેમ ન આવી? તમારો જીવ એ કામમાં ન હતો? તમે એવું નક્કી કરો છો કે હું જે પણ કામ કરીશ તેને એન્જોય કરીશ?
માણસ દરેક કામનો બોજ રાખે છે. ત્યાં સુધી કે નાહવાને પણ માણસ કામ સમજે છે. નાહવું એ કામ નથી પણ શરીરને હળવું કરવાની એક ઘટના છે. નાહી લીધા પછી તમને એવું ફીલ થાય છે કે, મજા આવી? ના, એવું થતું નથી. નાહી લીધા પછી મોટા ભાગે એવું થાય છે કે હાશ પત્યું. હવે ફટાફટ તૈયાર થાવ અને કામે વળગો. નાસ્તા કે જમવાને પણ કેટલા માણસો એન્જોય કરે છે? માણસ જયારે જે કરતો હોય છે ત્યારે માનસકિ રીતે ત્યાં હાજર જ નથી હોતો, એટલે માણસ કોઇ વસ્તુને હન્ડ્રેડ પર્સન્ટ ફીલ કરી શકતો નથી. માણસના વિચાર સતત તેની આગળ હોય છે.
સવારે નાસ્તો કરતી વખતે ઓફિસના કામના વિચાર ચાલતા હોય છે. ઓફિસમાં જે કામ કરતા હોયએ તેના કરતાં હવે પછી શું કામ બાકી છે તેના વિચારો આવતા રહે છે.માણસની મુસીબત એ છે કે મોટા ભાગે તે કાં તો ભવિષ્ય કાળમાં અથવા તો ભૂતકાળમાં જીવતો હોય છે. વર્તમાનને જીવનારા અને માણનારાની સંખ્યા બહુ ઓછી છે.
જમી લીધા પછી કોઇને પૂછો કે, શું ખાધું? તો તેને યાદ નથી હોતું. કારણ કે જમતી વખતે ઘ્યાન તો બીજે કયાંક હતું! શું ખાધું એ યાદ ન હોય તો પછી શું ભાવ્યું તેનું ભાન કયાંથી હોય? યોગ એટલે શું? યોગ એટલે પોતાનામાં જ ઘ્યાન કેન્દ્રીત કરી સ્વયંમાં જ ખોવાઇ જવાની ઘટના. માણસ ધારે તો દરેક કામ યોગની આસ્થાથી કરી શકે. સવાલ એ છે કે આપણે જે કામ કરતા હોઇએ છીએ એમાં ખોવાઇ શકીએ છીએ ખરાં? જે કરો તે હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટથી કરો.
જે વ્યકિત હન્ડ્રેડ પર્સન્ટ આપી શકતો નથી તેને હંમેશાં સંશય, સંકોચ કે શંકા જ થાય છે. એક સરસ મજાની વાર્તા છે. એક છોકરો અને એક છોકરી સ્કૂલમાં સાથે રમતાં હતાં. છોકરા પાસે સરસ મજાની લખોટીઓ હતી. છોકરી પાસે સરસ ચોકલેટ્સ હતી. છોકરીને લખોટી ખૂબ જ ગમી અને છોકરાને ચોકલેટ્સ. છોકરાએ કહ્યું કે તું મને તારી બધી ચોકલેટ્સ આપી દે તો હું તને મારી બધી જ લખોટી આપી દઉ.
છોકરીને તો એટલું જ જોઇતું હતું. છોકરીએ તરત જ હા પાડી દીધી. ગમતી લખોટી મળવાની હોવાથી છોકરી ખૂબ ખુશ હતી. છોકરો ચાલાક હતો. તેણે છોકરી પાસેથી બધી ચોકલેટ્સ લઇ લીધી. લખોટી આપતી વખતે થોડીક લખોટીઓ સંતાડીને રાખી મૂકી. થોડીક લખોટી છુપાવીને કહ્યું કે, આ લે મારી પાસેની બધી લખોટી.
છોકરી તો પોતાને બધી લખોટી મળી ગઇ એ આનંદ સાથે રાતના આરામથી સૂઇ ગઇ. છોકરાને રાતે ઊઘ આવતી ન હતી. એ છોકરાને વિચાર આવતા હતા કે, એ છોકરીએ પણ મને તેની બધી જ ચોકલેટ્સ નહીં આપી હોય તો? એ છોકરીએ પણ મારી જેમ ચોકલેટ્સ છુપાવી હશે? કહેવાનો મતલબ એ છે કે, તમારી રિલેશનશિપમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ આપો છો? આ વાર્તા દરેક સંબંધમાં, દરેક દોસ્તીમાં, દરેક પ્રેમમાં અને દરેક વર્તનમાં લાગુ પડે છે. સંતોષ એને જ થાય છે જે સો ટકા આપે છે. જયાં સંપૂર્ણતા ન હોય ત્યાં સંતોષ નહીં પણ શંકા અને સંતાપ જ હોય.
દિવસ પૂરો થાય ત્યારે દિવસ ચાલ્યા ગયાનો અફસોસ ન થવો જોઇએ. જે લોકો દિવસ એન્જોય કરી જાણે છે, જે પોતાની દરેક ક્ષણને પોતાના હન્ડ્રેડ પર્સન્ટ આપે છે તેને અફસોસ થતો નથી. જિંદગીના અંતિમ પડાવમાં જિંદગી જીવી લીધી તેનો આનંદ હોવો જોઇએ.
જો આજે એવો આનંદ નહીં આવે તો આવતીકાલે તેનો સંતોષ નહીં હોય. ઊલટું આવતીકાલે પણ ગઇકાલ બગડી તેનો અફસોસ હશે. જિંદગીમાં સમસ્યાઓ, મુશ્કેલીઓ, સવાલ અને અણધાર્યા આંચકા તો આવતા જ રહેવાના છે. એ બધાની વચ્ચે જે જીવી જાણે છે એને જ જીવનનો સાચો આનંદ મળે છે. તમારી દરેક ક્ષણને તમારા હન્ડ્રેડ પર્સન્ટ આપો. તમને ગેરંટી મળશે, હન્ડ્રેડ પર્સન્ટ આનંદની. હન્ડ્રેડ પર્સન્ટ જિંદગીની. ‘
છેલ્લો સીન
જીવન એક સંગ્રામ છે. જીવન એક યજ્ઞ છે. જીવન એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઇ શકે નહીં. જવાળા વિના યજ્ઞ હોઇ શકે નહીં. તોફાન વિના સાગર હોઇ શકે નહીં. આ બધાને હસતે મુખે આવકારનાર વ્યકિત જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે. - મનુ